રાજ્યમાં બે સ્થળોએ યોજાઇ પેટા ચૂંટણી
રાજકોટના ધોરાજી અને અમદાવાદના વિરમગામ ખાતે પેટા ચૂંટણી યોજાઇ હતી.
રવિવારના રોજ રાજ્યમાં બે સ્થળોએ પેટા ચૂંટણી યોજાઇ હતી. રાજકોટના ધોરાજીમાં રવિવારે વોર્ડ નંબર 12ની પેટા ચૂંટણી યોજાઇ હતી. આ વિસ્તારના ભાજપના મહિલા સભ્યએ વિકાસના કામો યોગ્ય રીતે ન થતાં પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું, આથી રવિવારેના રોડ પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું, ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષના ઉમેદવારો આ ચૂંટણીમાં સામસામે છે.
આ બંન્ને પક્ષના ઉમેદવારોએ મતદાન કરી જીતવાનો દાવો કર્યો હતો. મતદાન સમયે ધોરાજીના પીઆઇ જયરાજ સિંહના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધોરાજીના ઉબડ-ખાબડ રસ્તાઓ અને ભૂગર્ભ ગટરનો વણઉકેલ્યો પ્રશ્ન ભાજપની વિરુદ્ધ કામ કરે એમ લાગી રહ્યું છે. પરંતુ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપની લહેર ચાલી છે, આથી ભાજપની જીતની શક્યતાને સાવ નકારી શકાય એમ પણ નથી. જો કે, મંગળવારે મતગણતરી થયા બાદ જ અંતિમ ચિત્ર સામે આવશે.
બીજી બાજુ અમદાવાદના વિરમગામ તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક માટે પણ મતદાન યોજાયું હતું. વિરમગામ પંચાયતની 15-થોરીથાંભા બેઠક હાલ ખાલી છે, અગાઉના બંન્ને સભ્યોના કુદરતી રીતે મોત નીપજતાં રવિવારે આ બેઠક માટે પેટા ચૂંટણીનું આયોજન થયું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં 45 ટકા મતદાન નોંધાયું હતું.
આ બેઠક પર પહેલાં કોંગ્રેસના ઉમેદવાર ઘરશીભાઇ ઘરમશીભાઇ કો. પટેલ 925 મતે વિજેતા ચૂંટાયા હતા. તેમના મૃત્યુ બાદ ભાજપના વાઘજીભાઇ ચેહરભાઇ કો. પટેલ 16 મત સાથે વિજયી થઇ આ બેઠક પર આવ્યા હતા. તેમનું પણ મૃત્યુ થતાં રવિવારના રોજ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણી માટે ભાજપના વર્તમાન ઉમેદવાર છે પટેલ છનાભાઇ હીરજીભાઇ છે તથા કોંગ્રેસ તરફથી પટેલ ભાઇલાલભાઇ શંકરભાઇએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીની મતગણતરી પણ મંગળવારે હાથ ધરવામાં આવશે.