નવરાત્રીના હોર્ડિંગમાં સની લિયોનના પ્રેમે કર્યો વિવાદ!
નવરાત્રી પેહલાં રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં સની લિયોનના દ્વિઅર્થી લખાણવાળા જાહેરાતના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરનો વિરોધ થયા બાદ મોટાભાગની જગ્યાએથી પોસ્ટર ખસેડી લેવામાં આવ્યા છે.
રાજ્યમાં એકબાજુ નવરાત્રીની તાડમાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને બીજી બાજુ અમદાવાદ સહિતના ગુજરાતના કેટલાક શહેરોમાં લાગેલ સની લિયોનના પોસ્ટરને કારણે વિવાદ સર્જાયો છે. નવરાત્રી નિમિત્તે પોતાના ઉત્પાદનની જાહેરાત કરવાના હેતુથી મેનફોર્સ બ્રાન્ડ દ્વારા ગુજરાતના અનેક શહેરોમાં મોટા-મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા, આ જાહેરાતમાં ક્યાંય આપત્તિજનક શબ્દોનો ઉપયોગ થયો નથી, છતાં તેનો અર્થ ચોક્કસ આપત્તિજનક છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટરનો વિરોધ
આ જાહેરાત દ્વારા એક રીતે યુવાઓને નવરાત્રીના નામે એ કંપનીની વસ્તુનો ઉપયોગ કરવાનું પ્રોત્સાહન આપાવામાં આવ્યું છે, જે ખોટું છે. આપણા દેશમાં નવરાત્રીનું ધાર્મિક મહત્વ ઘણું છે, એ રીતે જોતાં પણ આ જાહેરાત આપત્તિજનક છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડ અભિનેત્રી સની લિયોન છે, તેની ટીવીની જાહેરાત પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોસ્ટરમાં સની લિયોનની તસવીર સાથે કંપનીનો લોગો અને દ્વિઅર્થી લખાણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટરની તસવીર વાયરલ થતાં તેનો બહોળા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો છે. વિરોધને ધ્યાનમાં રાખતા શહેરમાંથી મોટા ભાગના પોસ્ટર ઉતારી લેવામાં આવ્યા છે.
CAIT એ પણ કર્યો વિરોધ
CAIT(Confederation of All India Traders) દ્વારા પણ આ પોસ્ટરનો વિરોધ કરવામાં આવ્યો છે તથા યુનિયન કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામ વિલાસ પાસવાને પણ કડક શબ્દોમાં આ જાહેરાત સામે વાંધો ઉઠાવ્યો છે. CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી.ભરતિયા અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે પણ કહ્યું હતું કે, આવી જાહેરાત દ્વારા કંપનીએ માર્કેટિંગ એથિક્સમાં ગેરજવાબદારીપણાની તમામ હદો ઓળંગી છે. ગુજરાત સિવાય દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા.
ગેરજવાબદારીપૂર્ણ કાર્ય
વેચાણ વધારવા માટે સાંસ્કૃતિક મૂલ્યોને બાજુએ મુકી દેવા એ ખૂબ જ ગેરજવાબદારીપૂર્ણ અને નાસમજીનું કાર્ય છે. સાથે જ પૈસાની લાલચમાં આવી બ્રાન્ડના ઉત્પાદનોને પ્રમોટ કરનાર સની લિયોન સહિત તમામ બ્રાન્ડ એમ્બેસેડરને પણ આ માટે જવાબદાર ગણાવવામાં આવ્યા છે. CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બી.સી.ભરતિયા અને સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ દ્વારા રામ વિલાસ પાસવાનને આ જાહેરાત સામે તુરંત પગલા લેવાની, સંબંધિત અધિકારીઓને આ જાહેરાત પર પ્રતિબંધ મુકવાની તથા મેનફોર્સ કંપની અને બ્રાન્ડ એમ્બેસેડર સામે જરૂરી પગલા લેવાની વિનંતી કરવામાં આવી છે.
બ્રાન્ડ એમ્બેસેડર પણ સકંજામાં?
વારંવાર આવી ઘટનાઓ ન બને એ માટે આવા ઉત્પાદકોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરતા સેલિબ્રિટી માટે પણ સરકાર તરફથી એક વિશિષ્ટ 'આચાર સંહિતા' બનાવવામાં આવે તથા આ જાહેરાતો માટે સેલિબ્રિટીને પણ જવાબદાર ગણવામાં આવે, એવી પણ માંગણી કરવામાં આવી છે. આ સંદર્ભે CAIT દ્વારા સંસદમાં પેન્ડિંગ પડેલ કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલને હવે પછીના સત્રમાં પાસ કરવાની અરજી કરવામાં આવી છે, જેથી આવી ઘટનાઓમાં બ્રાન્ડ એમ્બેસેડરને અધિનિયમની મર્યાદા હેઠળ લાવી શકાય.