ગુજરાત ચૂંટણીઃ મોદીને મળ્યો બિહારના નેતાઓનો સથવારો
આ સમૂહમાં બે કેબિનેટકક્ષાના મંત્રી, અશ્વિન ચૌબે અને ગિરિરાજ સિંહ સહિત મોદીના સમર્થકો, રામેશ્વર ચૌરસિયા ઉપરાંત 200 જેટલા કાર્યકરો ગુજરાત આવશે અને બિહારીઓની જ્યાં વધુ વસ્તી છે ત્યા ચૂંટણી પ્રચાર કરશે. ગુજરાતમાં બિહારીઓની સંખ્યા વધારે છે અને પાર્ટીને તેમનું સમર્થન મળી રહેશે.
આ પહેલા ગુજરાતની ચૂંટણી માટે ભાજપના ટોચના નેતાઓ દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં બિહારના કેટલાક નેતાઓના નામ ઉમેરવામાં આવ્યા નહોતા, જેને લઇને બિહાર ભાજપના પ્રમુખ સીપી ઠાકુરે નારાજગી વ્યક્ત કરી હતી. એવા આરોપ લગાવાયા હતા કે બિહારના મુખ્યમંત્રી સાથે મોદીના અણબનાવને લઇને બિહારના નેતાઓના નામ આ યાદીમાં મુકવામાં આવ્યા નથી.
26 ઑક્ટોબરે અમદાવાદ આવી રહેલા ચૌરસિયાએ કહ્યું,'' પ્રથમ યાદીમાં બિહારના મંત્રીઓનો સમાવેશ કરવામાં ના આવ્યો હોવાની વાતને લઇને દેકારો કરવાની જરૂર નથી. લોકોએ એ વાતને યાદ કરી લેવી જોઇએ કે આ યાદી પાર્ટીને કેન્દ્રના નેતાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેમા મોદીની કોઇ ભૂમિકા નથી.''
'' મારી સાથે અન્ય 25 કાર્યકરો ગુજરાત જઇશું અને પાર્ટીની જે જરૂરિયાત છે તે પ્રમાણે કામ કરીશું. કાર્યકરો છઠ્ઠ પૂજા માટે બિહાર જશે અને પરત ફરીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં જોતરાઇ જશે,'' તેમ ચૌરસિયાએ કહ્યું છે.