સુપ્રીમ કોર્ટે 1993 સુરત બોમ્બ બ્લાસ્ટના 11 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
નવી દિલ્હી, 18 જુલાઇ : સુપ્રીમ કોર્ટે શુક્રવાર 18 જુલાઇ, 2014ના રોજ એક ચૂકાદામાં 1993 સુરત બોમ્બ બ્લાસ્ટના 11 આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મુક્યા છે.
નોંધનીય છે કે આ પહેલા વિશેષ ટાડા અદાલતે વર્ષ 2008માં ઉપરોક્ત આરોપીઓને જાન્યુઆરી-ફેબ્રુઆરી, 1993માં ગુજરાતના સુરતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ટાડા કોર્ટે તેમને 10થી 20 વર્ષની કેદની સજા ફરમાવી હતી.
જો કે આજે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ ટી એસ ઠાકુર અને ન્યાયમૂર્તિ સી નાગપ્પનની પીઠે શુક્રવારે ટાડા કોર્ટના ચૂકાદાની વિપરીત ચૂકાદો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સાથે ગુજરાત સરકારની કેટલાક દોષિતોની સજા વધારવાની અને કેટલાકને મુક્ત કરવાની અરજી પણ ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે સુરતમાં 1993માં બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાંથી પહેલા ધમાકો 21 જાન્યુઆરી, 1993ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં થયો હતો. જ્યારે બીજો બોમ્બ વિસ્ફોટ સુરત રેલવે સ્ટેશન પર થયો હતો. રેલવે સ્ટેશન પર ટ્રેનને નિશાન બનાવીને બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો. આ વિસ્ફોટમાં એક વિદ્યાર્થિની અલ્પા પટેલનું મોત થયું હતું અને 38 લોકો ઘાયલ થયા હતા.