સુરત: જૈન મુનિએ પીડિતા પાસે આપત્તિજનક તસવીરો માંગી હતી
જૈન મુનિ શાંતિસાગર મહારાજ પર બળાત્કારનો આરોપ મુકનાર યુવતીએ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.
49 વર્ષીય જૈન મુનિ શાંતિસાગર મહારાજ પર મધ્યપ્રદેશની 19 વર્ષીય યુવતીએ બળાત્કારનો આરોપ મુક્યો છે. શનિવારે રાત્રે સુરતની અઠવાલાઇન્સ પોલીસે આ સાધુની ધરપકડ કર્યા બાદ અનેક નવા ખુલાસા થયા છે. પીડિતાનો દાવો છે કે, શાંતિ-પાઠ કરવાના બહાને વિધિમાં જરૂર છે કહીને તેની પાસે આપત્તિજનક તસવીરો મંગાવી હતી. આ સિવાય પણ પીડિતાએ અનેક ખુલાસાઓ કર્યા છે. તો સામે જૈન મુનિએ જણાવ્યું હતું કે, જે પણ થયું તે યુવતીની મરજીથી થયું હતું.
31 માર્ચના રોજ થઇ હતી મુલાકાત
પીડિતાએ જણાવ્યું હતું કે, 'હું 31 માર્ચના રોજ માંડવીમાં પહેલીવાર મારા પરિવાર સાથે આચાર્ય શાંતિસાગરને મળી હતી. તેમના પ્રવચનથી સૌ કોઇ મંત્રમુગ્ધ થઇ ગયા હતા. તેઓ અમારા પરિવાર માટે સુખ-શાંતિના જાપ કરતા હતા, આ માટે મારી સાથે ક્યારેક એસએમએસ અને વોટ્સએપથી વાતો કરતા હતા. ક્યારેક ફોન પણ કરતા હતા. બે મહિના પહેલાં તેમણે ફોન કરી વિધિ માટે મારી તસવીર મંગાવી હતી. મેં તસવીરો વોટ્સએપ પર મોકલી હતી. ત્યાર બાદ તેમણે ફરી ફોન કરી મને કહ્યું કે, મને તારો મિત્ર જ સમજજે. તારો નગ્ન ફોટો જોઇએ છે. વિધિમાં એની જરૂર છે. મેં સૂચનાનું પાલન કર્યું.'
દક્ષિણાના નામે નૃત્ય કરાવ્યું
દિવ્ય ભાસ્કરના અહેવાલો અનુસાર, પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે, 'આચાર્ય જ્યારે સુરત આવ્યા ત્યારે તેમણે અમને સૌને ત્યાં બોલાવ્યા હતા અને પૂજા-વિધિ માટે રાત્રિ રોકાણ કરવું પડશે એમ જણાવ્યું હતું. તેમણે અત્યાર સુધીમાં જે કંઇ પૂજા-પાઠ અને જાપ કર્યા હતા, એની દક્ષિણા રૂપે મને નૃત્ય કરવાનું કહ્યું. રાત્રે વિધિના બહાને તેમણે મારા માતા-પિતાને એક કુંડાળામાં બેસાડ્યા અને મારા ભાઇને બીજા ખંડમાં બેસાડ્યો. મારા શરીરે મોરપંખ ફેરવી મને અન્ય ખંડમાં લઇ ગયા.'
પીડિતાને સૂચનાનું પાલ કરવા કહ્યું હતું
'ખંડમાં લઇ જઇ તેમણે મને પૂછ્યું કે, તને શું જોઇએ છે? મેં કહ્યું કે, હું અને મારા માતા-પિતા ખુશ રહીએ એટલું જ જોઇએ છે. આચાર્યએ કહ્યું કે, આ માટે હું કહું એમ કરજે. ત્યાર બાદ તેમણે મને કપડા ઉતારવા કહ્યું. મને ખચકાટ થયો, તો તેમણે કહ્યું કે, માતા-પિતાને સુખી જોવા હોય તો કહ્યું એમ કર, નહીં તો તેમનું મૃત્યુ થશે. ત્યાર બાદ તેમણે લાઇટ બંધ કરી મને સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.' પીડિતા કોલેજમાં પેટ અને ગુપ્તાંગમાં દુખાવાને કારણે બેભાન થઇ ગઇ હતી, એ પછી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
લાજપોર જેલમાં કેદ છે જૈન મુનિ
આ જૈન આચાર્ય હાલ લાજપોર જેલમાં કેદ અને તેની કોટડી નારાયણ સાંઇની કોટડીની પાસે જ છે. અહેવાલો અનુસાર, છેલ્લા ત્રણ દિવસોમાં આરોપી આચાર્ય માત્ર 5 જ કલાક સૂતો છે અને બાકીના સમયમાં બેસીને કઇંક બબડ્યા કરે છે. તેની એક ધારું બેસી રહેવાની ક્ષમતાથી પોલીસને આશ્ચર્ય થયું છે અને આચાર્ય સાથેના કેદી તેના બબડાટથી કંટાળી ગયા છે. આ મામલે શનિવારે આરોપી આચાર્યની ધરપકડ બાદ તેને જજના ઘરે રજૂ કરવામાં આવ્યો હતો, પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી નહોતી થઇ, આથી આરોપીને સીધો જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. પોલીસના આ પગલાની ઘણા ટીકા કરી રહ્યાં છે અને આને કારણે મહત્વના પુરાવાઓનો નાશ થવાની પણ શંકા છે.