સુરેન્દ્રનગરમાં પેપર મીલમાં લાગી આગ, કરોડો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ
શનિવાર, 22 માર્ચ 2025ના રોજ સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર આવેલી પેટશન પેપર મિલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના નવલગઢ ગામના પાટિયા નજીક બની હતી, જ્યાં મોડી રાત્રે અચાનક આગની જ્વાળાઓએ આખી મિલને લપેટમાં લઈ લીધી.
આગ એટલી વિકરાળ હતી કે પેપર અને પૂઠાં સહિતનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો, જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ કે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી ગઈ હતી.

આ ઉપરાંત, ભારતીય સેનાની ટીમ પણ મદદ માટે ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.લગભગ રાત્રે 1 વાગ્યા સુધીમાં ફાયર વિભાગે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાળાઓએ આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ મિલને થયેલા આર્થિક નુકસાનનો આંકડો હજુ સ્પષ્ટ થવાનો બાકી છે.
સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે પણ ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગજનીની આ ઘટનાએ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે સલામતીના પગલાં સખત કરવાની માગ ઉઠવા લાગી છે.












Click it and Unblock the Notifications
