આ તે કેવું? 18 હજાર માળા ફેરવી તો દુષ્કર્મની સજા માફ?
ટોરેન્ટોના સ્વામીનારાયણ મંદિરના સાધુએ 30 વર્ષની મહિલા સાથે આચર્યું દુષ્કર્મ. પ્રાયશ્ચિત રૂપે બે મહિનામાં 18 હજાર માળા પૂરી કરતાં તેમને મંદિરમાં ફરી લેવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયની એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. કેનેડા ના ટોરોન્ટો ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ સુજ્ઞેયદાસે એક ગુજરાતી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા પાસે આવેલા હરિધામ સોખડા મંદિરના સુજ્ઞેય સ્વામી વિરુદ્ધ કેનેડાની ટોરોન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સુજ્ઞેય સ્વામી ટોરોન્ટો, કેનેડાની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
18 હજાર માળા પૂર્ણ કરતાં દુષ્કર્મ માફ?
યુવતીના પરિવાર દ્વારા સ્વામિનારાયણ મંદિરના અન્ય એક સંતને આ ઘટના અંગે ફરિયાદ કરતાં તે સાધુને મંદિરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. જો કે, એ લંપટ સાધુએ પોતાના પાપ બદલ 2 મહિનાની અંદર 18 હજાર માળ પૂર્ણ કરતાં તેને ફરીથી મંદિરમાં લઇ લેવામાં આવ્યો છે, જેની સામે યુવતીના પરિવારજનોએ વિરોધ નોંધાવતા મામલો સામે આવ્યો છે.
યુવતીના પ્રેમમાં પડ્યા હતા સુજ્ઞેય સ્વામી
સુજ્ઞેય સ્વામી આ યુવતીના પ્રેમમાં પડ્યા હતા, તેમણે આ યુવતીને સ્વામી હરિપ્રસાદ સાથે દર્શનના બહાને મંદિરમાં બોલાવી હતી. યુવતી કેટલાક માનસિંક અશાંતિના પ્રશ્નોથી પીડાતી હતી, જેના ઉકેલ માટે તે સ્વામીને મળવા પહોંચી હતી. મંદિરમાં બોલાવ્યા બાદ સુજ્ઞેય સ્વામીએ પોતાના રૂમમાં લઇ જઇ યુવતી પર કર્યો બળાત્કાર કર્યો હતો. મામલો આટલેથી જ ન અટકતાં સુજ્ઞેય સ્વામી તે યુવતીને ફોન-મેસેજ કરી પણ હેરાન કરતા હતા. ડઘાઈ ગયેલી યુવતીએ 30 ડિસેમ્બર, 2016ના રોજ આ અંગે ટોરોન્ટો પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, ફરિયાદ નોંધાયા પહેલાં જ સ્વામીજી અમદાવાદ પરત ફરી ગયા હોવાથી હાલ ટોરોન્ટો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
અહીં વાંચો - વાહ રે કાયદાના રક્ષક! સુરતમાં પોલીસવાળા જ મળ્યા નશામાં ધુત!
પૂર્વાશ્રમનું નામ નીલકંઠ હસમુખ પટેલ
બીજી તરફ, આ સાધુ સુજ્ઞેય આણંદ જિલ્લાના આસોદર ગામના હોવાનું સામે આવતા ગામના લોકો ભારે અચંબામાં પડી ગયા છે, આ વાતને લઇ ગામના લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. ગામના લોકો અનુસાર સાધુ સુજ્ઞેયનું પૂર્વાશ્રમનું નામ હતું નીલકંઠ હસમુખ પટેલ. લગભગ 20 વર્ષ પહેલાં જ્યારે નીલકંઠે દીક્ષા લીધી હતી ત્યારે ગામમાં ત્રણ દિવસનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.