હાસ્યલેખક તારક મહેતા ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત
અમદાવાદ સ્થિત એચ કે હોલ ખાતે સાંજે આ એવોર્ડ એનાયત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વર્ષ 2011 માટેનો ‘ગૌરવ પુરસ્કાર' અમદાવાદ નિવાસી જાણીતા હાસ્યલેખક તારક મહેતાને તથા વર્ષ 2012 માટેનો પુરસ્કાર સુરત સ્થિત પ્રસિદ્ધ પીઢ સાહિત્યકાર ભગવતીકુમાર શર્માને એનાયત કરાયો છે. બન્ને સાહિત્યકારને ગુજરાતના રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી રમણલાલ વોરાના હસ્તે ‘ગૌરવ પુરસ્કાર' એનાયત કરવામાં આવ્યો છે, જેમાં એક લાખ રૂપિયાનો ચેક, ગૌરવ પુરસ્કાર તથા શાલનો સમાવેશ થાય છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર અને કવિ હર્ષદ ત્રિવેદીએ કહ્યા મુજબ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યસર્જન માટે વર્ષ 1983થી પ્રત્યેક વર્ષે એક સાહિત્યકારને ‘ગૌરવ પુરસ્કાર' આપવામાં આવે છે. વર્ષ 2006થી 2010 સુધીમાં અનુક્રમે ચંદ્રકાંત શેઠ, અમૃતલાલ વેગડ, વર્ષા અડાલજા, કુમારપાળ દેસાઈ અને વિનેશ અંતાણીને ‘ગૌરવ પુરસ્કાર'થી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં.