'હું દક્ષિણનો ગુંડો છું' કહી શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો
અમરેલીમાં શિક્ષકના નામ પર કલંક લગાવતી એક શરમજનક ઘટના બહાર આવી છે. એક શાળામાં શિક્ષકે ધો-12ના વિદ્યાર્થીઓને ઢોર માર મારતા ખળભળાટ થયો છે.
અમરેલી જિલ્લાના લાઠીમાં બનેલી આ ઘટના ખૂબ ચોંકાવનારી અને શરમજનક છે. લાઠીની શ્રી આર આર ધોળકિયા ટ્રસ્ટ સંચાલિત શાળા, શ્રી કલાપી વિનય મંદિર હાઇસ્કૂલમાં એક શિક્ષકે અપશબ્દો બાલી ધોરણ-12ન વિદ્યાર્થીઓને ઢોર માર મારતાં ખળભળાટ થયો છે. આ ઘટનાનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે.

13 વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો
વિદ્યાર્થીઓને ક્રૂરતાથી માર મારનાર આ શિક્ષકનું નામ છે, રાજેશ ચાવડા. તે શાળામાં બોયલોજીનો વિષય ભણાવતો હતો. 17 ડિસેમ્બર, 2016ના રોજ જ તે શાળામાં શિક્ષક તરીકે જોડાયો હતો. 23 જાન્યુઆરીના રોજ તેણે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ સામે ક્લાસરૂમમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું હતું કે, હું દક્ષિણનો ગુંડો છું, તમારું કોઇ સાંભળશે નહીં અને ત્યાર બાદ 13 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. ગઇ કાલ રાતથી આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
વિદ્યાર્થીઓએ રેલી કાઢી કરી ફરિયાદ
શિક્ષકના ક્રૂર વર્તનનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ રેલી કાઢી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આજે વિદ્યાર્થીઓએ રેલી કાઢી લાઠી પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. શિક્ષકના મારનો ભાગ બનેલા 13 વિદ્યાર્થીઓ સહિત 74 જેટલા વિદ્યાર્થીઓ રેલી કાઢી લાઠી પોલીસ મથકે પહોંચ્યા હતા. જિલ્લાના કોંગ્રેસ ના અધિકારીઓએ પણ હાજર રહી વિદ્યાર્થીઓ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. શિક્ષકને ન શોભે એવું અભદ્ર વર્તન કરવા બદલ તથા અમાનુષી માર મારવા બદલ વિવિધ કલમો લગાવી શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે.
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે કહ્યું કે, આ મામલાની તપાસ એક અધિકારીને સોંપવામાં આવી છે. કાયદાની અંદર રહીને શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે, જેથી બીજીવાર આવું કંઇ કરતાં પહેલાં લોકો વિચારે.

આરોપી શિક્ષક ફરાર, પિતા કરી રહ્યા છે બચાવ
મૂળ જૂનાગઢના નાગરવાડામાં રહેતો શિક્ષક રાજેશ ચાવડા હાલ ફરાર છે. તો બીજી બાજુ શિક્ષકના પિતા કરસનભાઇ ચાવડાએ શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ પર ગંભીર આરોપ કર્યાં છે. તેમણે કહ્યું કે, મારા દિકરાએ હજુ માત્ર 23 દિવસ જ નોકરી કરી હતી. તેને વિદ્યાર્થીઓ ખૂબ જ હેરાન કરતા અને ગાળો આપતા હતા. આ પાછળ શાળાના આચાર્ય રામાણીનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે, જ્ઞાતિનો ખાર રાખી તેઓ મારા દિકરાને ખૂબ હોરાન કરતા હતા, આથી જ મારા દિકરાઓ વિદ્યાર્થીઓને શિક્ષા આપી હશે.












Click it and Unblock the Notifications
