સોમનાથ, દ્વારકા સહિત રાજ્યના મુખ્ય મંદિરો આજથી ભક્તો માટે ખુલશે
ગુજરાતભરના તમામ મોટા મંદિરોના દરવાજા ભક્તો માટે આજે શુ્ક્રવારથી એટલે કે 11 જૂનથી ખુલી જશે.
અમદાવાદઃ દેશ અને દુનિયભરમાં હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીના પગલે છેલ્લા 58 દિવસથી રાજ્યના તમામ મંદિરો બંધ હતા. ગુજરાતભરના તમામ મોટા મંદિરોના દરવાજા ભક્તો માટે આજે શુ્ક્રવારથી એટલે કે 11 જૂનથી ખુલી જશે. અંબાજી મંદિર 12 જૂને ખુલશે તે સિવાય સોમનાથ, ડાકોર, પાવાગઢ, દ્વારકા અને શ્યામળાજી મંદિર ભક્તો માટે આજથી ખોલી દેવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી ગાઈડલાઈનના કડક પાલન માટે મંદિરોમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમનાથ મંદિરમાં દર્શન માટે કઢાવવો પડશે પાસ
ઘણા મંદિરોમાં પાસ સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજય સિંહ ચાવડાએ જણાવ્યુ કે, સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓએ ઑનલાઈન અથવા રૂબરૂમાં પાસ કઢાવવો પડશે. સોમનાથ મંદિરમાં આરતી માટે દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. એસઆરપી, ડૉગસ્કવૉડ સહિત કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દ્રારકા મંદિરમાં પણ ધ્વજારોહણમાં 20 ભક્તો હાજર રહી શકશે તેમજ 5 લોકો જ પ્રદક્ષિણા કરી શકશે.

50થી વધુ દર્શનાર્થીઓને પ્રવેશ નહિ
આરાસુરી અંબાજી માતા મંદિરના પ્રવકતાએ જણાવ્યુ કે બેથી વધુ મહિના સુધી બંધ રહ્યા બાદ આ મંદિર શનિવારે ખોલવામાં આવી રહ્યુ છે. એક સમયે 50 કરતા વધુ દર્શનાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટંસીંગનુ પણ ચુસ્તપણે પાલન કરવામાં આવશે. મંદિર પરિસરમાં કોઈ પણ ભક્તોને ઉભા રહેવાની પરવાનગી આપવામાં આવશે નહિ, તેમણે પ્રાર્થના કરીને તરત જ મંદિરમાંથી બહાર નીકળી જવાનુ રહેશે. દરેક દર્શનાર્થીનુ થર્મલ સ્ક્રીનિંગ કર્યા બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવશે અને માસ્ક પહેરવુ ફરજિયાત છે.

ભોજનપ્રસાદ તેમજ ધર્મશાળાની સેવાઓ હાલમાં બંધ
ચોટીલાનુ ચામુંડા માતા મંદિર પણ આજથી ખુલી રહ્યુ છે જેમાં ભક્તોને ટુકડીઓમાં ઉપર જવા દેવામાં આવશે. ભોજનપ્રસાદ તેમજ ધર્મશાળાની સેવાઓ હાલમાં બંધ રહેશે. વળી, ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ નહિ મળે. પ્રાર્થના માટે ઉભા રહેવા કે બેસવાની મનાઈ છે. તેમજ મંદિર પરિસરમાં 50થી વધુ ભક્તોને મંજૂરી નહિ મળે












Click it and Unblock the Notifications
