શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે લઠાકાંડના અસરગ્રસ્તોની મુલાકાત લીધી
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ માદક દ્રવ્યોના સેવનના કારણે અસરગ્રસ્ત થયેલાં ધંધુકા અને બરવાળાના લોકોની સારવાર-સુશ્રુષાની વિગતો મેળવવાં અને તેમને માનસિક સધિયારો આપવાં માટે ભાવનગરની મુલાકાતે બંન
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ માદક દ્રવ્યોના સેવનના કારણે અસરગ્રસ્ત થયેલાં ધંધુકા અને બરવાળાના લોકોની સારવાર-સુશ્રુષાની વિગતો મેળવવાં અને તેમને માનસિક સધિયારો આપવાં માટે ભાવનગરની મુલાકાતે બંને મંત્રીઓએ સર ટી. હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોની રૂબરૂ મુલાકાત લઈને સારવાર સંબંધી પૃચ્છા કરી

માદક દ્રવ્યોના સેવનના કારણે ૭૮ લોકો અમદાવાદ અને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે ૨૫ લોકોના મૃત્યુ કન્ફર્મ થયાં છે. આ ઘટનાના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ તપાસ સમિતિની નિમણૂંક કરવામાં આવી છે, જે એફ.એસ.એલ. ના તપાસના તથ્યોના અંતે ત્રણ દિવસમાં તેનો રિપોર્ટ સરકારને રજૂ કરશે
અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં રોજીદ ગામમાં માદક દ્રવ્યોના સેવન કરવાને કારણે આ બંને જિલ્લાના ઘણાં લોકો અસરગ્રસ્ત થયાં છે. તેમને તાત્કાલિક ધોરણે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટનાને પગલે રાજ્ય સરકાર દ્વારા તુરંત પગલાં લેવામાં આવ્યાં છે. આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા બરવાળા અને ધંધુકા તાલુકામાં આ પીણાના સેવનને કારણે અસરગ્રસ્ત થયેલાં લોકોને શોધી-શોધીને વધુ સઘન સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના આદેશથી પ્રતિનિધિ તરીકે અમે બંને મંત્રીઓ અત્યારે આ મુલાકાતે આવ્યાં છીએ. આ ઘટના ગંભીર છે. ચિંતા કરનારી છે. રાજ્ય સરકાર આ બાબતે ચિંતિત અને સજાક છે. દુઃખદની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતક તેમજ સારવાર લઇ રહેલ દર્દીઓના સ્વજનોની પડખે ઊભી છે.
તપાસમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે હાઈ પાવર કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આવી ઘટના ન બને તે માટે પણ રાજ્ય સરકાર ચિંતિત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની સતર્કતાને કારણે તાત્કાલિક અસરગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમને ઉચ્ચ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે જેના લીધે મૃત્યુ આંક ઘટાડી શકાયો છે. અન્યથા આ આંક ઘણો મોટો પણ થઇ શક્યો હોત. આપણે રાજ્ય સરકારની ત્વરિતતા અને સતર્કતાને કારણે તેમાંથી બચી ગયાં છીએ.
તેમણે અસરગ્રસ્ત લોકો કે જેઓ હજુ વાડી વિસ્તારમાં જતાં રહ્યાં છે અથવા તો સામેથી બહાર નથી આવી રહ્યાં તેવાં લોકોને પણ સામેથી બહાર આવી તંત્રનો સંપર્ક કરવાં અને ગભરાયાં વગર સારવાર લે તે માટેની અપીલ કરી છે.
હોસ્પિટલમાં ડાયાલિસિસની મદદથી દર્દીઓના લોહીને શુદ્ધ કરવામાં આવી રહ્યું છે ડાયાલિસિસથી લોહીમાં રહેલા ઝેરી તત્વોને અલગ કરી શકાય છે. તેથી દર્દીઓનું જીવન બચાવી શકાશે. આ માટે જરૂર પડશે તો વધુ ડાયાલીસીસ મશીનોની પણ વ્યવસ્થા કરવામાં આવશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ મુલાકાત વખતે તેમની સાથે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયા, ભાવનગર કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, બોટાદ કલેક્ટર બીજલ શાહ, સર ટી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી ડો. જયેશ બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ અને ડોક્ટરો સાથે રહ્યાં હતાં.












Click it and Unblock the Notifications
