ગુજરાતઃ ઘરે શૌચાલય હશે તો જ લડી શકાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી

આ કાયદામાં કરવામાં આવેલા સુધારાની વિગતો રજૂ કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની નવી ચૂંટણીઓમાં સભ્ય તરીકે ઉભા રહેવા માગતા હોય તેમણે લખી આપવું પડશે કે તેઓ પારિવારિક શૌચાલય ધરાવે છે. હાલમાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સભ્ય તરીકે ચૂંટાયેલા છે તેમણે આગામી છ માસની અંદર સક્ષમ અદિકારી પાસેથી આવો દાખલો લેવાનો રહેશે.
અન્ય એક સુધારા અન્યવયે, હવે મહાનગરપાલિકાઓમાં પણ નગરપાલિકાઓની જેમ ખાલી પડેલી જગ્યા માટે છ માસમાં પેટા ચૂંટણીઓ કરવાની રહેશે. અત્યાર સુધી મહાનગરપાલિકાઓમાં ત્રણ માસમાં ખાલી જગ્યા માટે પેટા ચૂંટણીઓ કરવી આવશ્યક હતી.
પંચાયત એક્ટ હેઠળ અત્યારસુધી 15 હજારની વસ્તીને ગામ ગણવામાં આવતું હતું, તેમા પણ સુધારો કરીને હવેથી 25 હજારની વસતીએ ગામ તરીકે ગણવામાં આવશે અને 25 હજારથી વધુ વસતી હશે તો નગરપાલિકાનો દરજ્જો મળશે. અગાઉ 3 હજારની વસ્તીએ ઓછામાં ઓછા પંચાયતના સાત સભ્યો રહેતા હતા અને ત્યારબાદ પ્રતિ હજારની વસ્તીએ બે બેઠકો વધતી હતી, હવે પ્રથમ ત્રણ હજારની વસતીએ સાત સભ્યો બાદ વધારાની પ્રતિ ત્રણ હજારની વસતીએ બે બેઠકો વધશે. જૂન 2000ની વસતી ગણતરી અન્વયે 62 ગામોની વસતી 15 હજારથી 25 હજાર વચ્ચે પણ છે.
આ પ્રસંગે નીતિન પટેલે એવી પણ જાહેરાત કરી છેકે, આ 25 હજાર સુધીની વસતીમાં સમાવેશ થનારા તમામ ગામોમાં પંચાયત વિભાગ રૂર્બન પ્રોજેક્ટ હેઠળ શેહર જેવી તમામ સગવડો, વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું છેકે, ખુલ્લામાં મળત્યાગ કરવાની બાબતને અંકૂશમાં રાખવી અતિઆવશ્યક છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ રહેઠાણમાં જ શૌચાલય હોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, ત્યારે આ બાબતે લોકોને વધુ જાગૃત કરવા જરૂરી છે. આ સંદર્ભે વહીવટી પગલાંની સાથે સાથે વૈદ્યાનિક પગલાં લેવા પણ જરૂરી છે, પરિણામે ગુજરાત સ્થાનિક સત્તામંડળ કાયદા સુધારા વિધેયક 2014 અનિવાર્ય બન્યું છે.
તેમણે ઉમેર્યું છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને ગરીબોના શૌચાલય માટે વધુમાં વધુ રકમ ફાળવવા અપીલ કરી છે. હાલમાં શહેરી વિસ્તારમાં વ્યક્તિગત શૌચાલય માટે 8 હજાર અને ગ્રામ્ય વિસ્તારોમાં 12 હજારની સહાય આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
