વજુભાઇનું પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજુનામુ : વિધાનસભા અધ્યક્ષ માટે ઉમેદવારીપત્ર ભર્યું
આ સાથે એ વાત નક્કી થઇ ગઇ છે કે 13મી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે વજુભાઇ વાળા બિરાજશે. વિધાનસભા અધ્યક્ષ બનવા માટેના નિયમોનું પાલન કરતા તેમણે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ આર. સી. ફળદુના નિવાસસ્થાને જઇને પક્ષમાંથી પોતાના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામુ સુપરત કર્યું હતું. ત્યાર બાદ તેમણે અધ્યક્ષપદ માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
આ અંગે વજુભાઇ વાળાએ જણાવ્યું કે "અધ્યક્ષનું પદ એ તટસ્થતાનું પદ છે. તટસ્થ રહેવા તથા બંધારણીય નિયમોનું પાલન કરવા માટે મેં આજે પાર્ટીના પ્રાથમિક સભ્ય પદમાંથી રાજીનામું આપ્યું છે. આગામી સમયમાં હું બંને પક્ષ વચ્ચે સારો સુમેળ રહે અને વિધાનસભાના જે નિયમો છે તેનું બંને પક્ષ પાલન કરે તે માટેનો પ્રયાસ કરીશ."
આ બાબતે પ્રદેશ પ્રમુખ વજુભાઇ વાળાએ જણાવ્યું કે "અમે પક્ષના રાષ્ટ્રીય અગ્રણીઓ, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સલાહથી વજુભાઇ વાળાને તેરમી વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં આ માટેની ઔપચારિક પ્રક્રિયા પૂરી કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે આજે સવારે ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે મળેલી ભાજપની પ્રદેશ સંસદીય બોર્ડની બેઠકમાં કાર્યકારી અધ્યક્ષ પદે ડૉ. નીમાબેન આચાર્યની સર્વાનુમતે વરણી કરી તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમણે તમામ 180 ધારાસભ્યોને ધારાસભ્ય પદ માટે શપથ લેવડાવ્યા હતા. હવે આવતીકાલે મળનારી 13મી વિધાનસભાની પ્રથમ બેઠકમાં વજુભાઇ વાળાને કાયમી અધ્યક્ષ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.