વજુભાઇ વાળાએ ગુજરાત વિધાનસભા અધ્યક્ષનો પદભાર સંભાળ્યો
ગાંધીનગર, 23 જાન્યુઆરી : આજે 13મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. વિધાનસભાની નિયમો અને બંધારણીય પ્રણાલીને અનુસરતા આજે સર્વાનુમતે વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળાની નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. પરંપરા મુજબ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને જીપીપીના અધ્યક્ષ કેશુભાઇ પટેલ વજુભાઇને અધ્યક્ષની ખુરશી સુધી દોરી ગયા હતા. આ પ્રસંગે સૌએ અધ્યક્ષ તરીકે તેમની વરણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વજુભાઇ વાળા ગુજરાત વિધાનસભાના 22મા અધ્યક્ષ બન્યા છે.
આ પ્રસંગે વિધાનસભા ગૃહને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે "અધ્યક્ષશ્રી, નવી વિધાનસભાનું પ્રથમ સત્ર છે. સૌ ધારાસભ્યોને ખુબ ખુબ શુભકામના અને અભિનંદન પાઠવું છું. આજે 23 જાન્યુઆરીએ સુભાષ બાબુની જન્મજયંતિ છે. તેમને સ્મરણ કરીએ, શ્રદ્ધાંજલિ આપીએ. આજે આ સભાગૃહે આદરણીય વજુભાઇને અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. વજુભાઇને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. આ ગૃહમાં ખુબ લાંબો કાર્યકાળ અને બધીજ જવાબદારીનો અનુભવ છે. તેઓ ગુજરાત સરકારનું ચાલકબળ રહ્યા છે. અનેક વિક્રમો નોંધાયા છે. જાહેર જીવનમાં 45-50 વર્ષની સેવા આપી છે."

વિપક્ષના નેતા તરીકે શકંરસિંહ વાઘેલાએ નવા અધ્યક્ષને આવકાર આપતા જણાવ્યું કે "આપ સામાન્ય કુટુંબમાંથી આવીને ઉચ્ચ પદ પર આપ બિરાજ્યા છો. આપને અભિનંદન. આપે દરેક સમયે સરસ રીતે પરંપરા નિભાવી છે. આ ગૃહમાં પણ આપ સારી પરંપરા નિભાવશો એવી અપેક્ષા છે. આગળની પાટલી કરતા પાછળની પાટલી પર બેસેલા જુનિયર મિત્રોને વધારે ધ્યાન આપશો એવી વિનંતી છે. સાચી વાત વિપક્ષને વાત રજુ કરવાની તક આપશો. અમે નકારાત્મક બાબતોમાં જ નહીં પણ સાચી વાત આગળ કરીશું તેની ખાતરી આપું છું."
ત્યાર બાદ ગૃહની ઔપચારિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
