વાપી પાસે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો, બે આરોપીઓની ધરપકડ
અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટનામાં રેલવે પોલીસે મોટી સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને પોલીસે બે શખ્સોને દબોચી લીધા છે.
આ ઘટના ગત ૨૭ જાન્યુઆરીના રોજ ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ટ્રેનના સી-૧૧ કોચના કાચને ભારે નુકસાન થયું હતું.

પથ્થરમારાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા રેલવે સુરક્ષા દળ (RPF) દ્વારા તાત્કાલિક ધોરણે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પાસેથી ટ્રેનના એન્જિન અને કોચના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. જેમાં બે શંકાસ્પદ યુવકો પથ્થરમારો કરતા સ્પષ્ટપણે નજરે પડ્યા હતા.
આ ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ અને શ્રીપાલ શિવનરેશ નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ વાપીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્ય આરોપી સત્યેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને નવસારી સબ જેલમાં મોકલી દેવાયો છે. રેલવે પોલીસ હાલ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.












Click it and Unblock the Notifications
