દેશની અખંડિતતાને સાંસ્કૃતિક ધરોહરને શીખોએ જાળવી રાખી છે: રૂપાણી
જામનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગુરૂ ગોવિંદસિંહજીની 350મી જન્મ જયંતિનાં કિર્તન સમારોહમાં હાજરી આપી
રવિવારે, જામનગર ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગુરૂ ગોવિંદસિંહજીની 350મી જન્મ જયંતિનાં કિર્તન સમારોહમાં હાજરી આપી હતી. જામનગરના ઓશવાળ કેમ્પસ ખાતે શ્રી ગુરૂ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિનો કિર્તન કાર્યક્રમ ઉજવાયો હતો. જેમાં પવિત્ર ગુરૂ ગ્રંથસાહેબની ભાવભરી વંદના અને શબ્દ કિર્તનનું રસપાન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે દેશને અખંડ રાખવામાં અને સાંસકૃતિક ધરોહરને જાળવી રાખવામાં શીખ સમાજનો સિંહફાળો છે જેનો પુરાવો ઇતિહાસ પણ આપે છે અને શીખ સમુદાય સમગ્ર વિશ્વમાં તેમની વીરતા માટે ખ્યાતનામ છે.
ભારતીય સેનામાં શીખ સમાજનો હંમેશા સિંહ ફાળો રહ્યો છે. જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.વધુમાં સીએમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આગામી એપ્રિલ-મે મહીનામાં રાજય સરકાર દ્વારા શ્રી ગુરૂ ગોવિંદસિંહજીની યાદમાં યાદગાર કાર્યક્રમ યોજશે. જેથી આવનારી પેઢી ગરૂ ગોંવિદસિંહજીના જીવન કવનને જાણી તેમાંથી પ્રેરણા મેળવી શકે.
આ તકે સમગ્ર ગુરૂસિંઘ સમાજ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પરંપરાત પાઘ પહેરાવી તથા શક્તિના પ્રતિક સમી તલવાર ભેટ કરી અભિવાદન કર્યું હતું તથા ઉપસ્થીત મંત્રીઓ તથા મહાનુભાવોને પણ તલવાર અને ખેસ અર્પણ કરી અભિવાદન કરાયું હતું. આ તકે વીશા ઓશવાળ સમાજ તથા સિંધી સમાજ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરીયા, પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખીરીયા, આરોગ્ય મંત્રીશ્રી શંકરભાઇ ચૌધરી, સાંસદ પુનમબેન માડમ સમેત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.