Weather forecast : ગુજરાતનો દરિયો તોફાની, માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી
Weather forecast : ભારતીય હવામાન વિભાગે સક્રિય ચોમાસાને કારણે ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમારોને પાંચ દિવસની ચેતવણી જારી કરી છે.
31 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તોફાની હવામાન રહેવાની સંભાવના છે, જેમાં તેજ પવન અને દરિયામાં કરંટ જોવા મળશે.

ઝખૌ, માંડવી, મુંદ્રા, કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદર સહિતના ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 1 સપ્ટેમ્બરના રોજ 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જો કે, ત્યારબાદ સ્થિતિમાં સુધારો થવાની અપેક્ષા છે.
મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ ૧ સપ્ટેમ્બરના રોજ ૪૦-૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી છે, જેની ગતિ ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને દરિયો પણ તોફાની રહેશે.
આ ચેતવણી ૪ સપ્ટેમ્બર માટે પણ આપવામાં આવી છે. માછીમારોને આ સમયગાળા દરમિયાન દરિયામાં ન જવાની સખત સલાહ આપવામાં આવી છે.
આ સિવાય અરબી સમુદ્રના ખુલ્લા ભાગો અને તેની નજીકના દરિયાકાંઠા માટે પણ ચેતવણી જારી કરવામાં આવી છે. સોમાલિયા, ઓમાન અને યમન નજીકના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ૪૫-૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેની ગતિ ૬૫ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
IMD એ દક્ષિણ ગુજરાતના બંદરો, જેમાં મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણનો સમાવેશ થાય છે, ત્યાં લોકલ કોશનરી સિગ્નલ-III (LCS-III) લગાવવાનો નિર્દેશ આપ્યો છે.
જો કે, ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (INCOIS) એ ઊંચા મોજાની કોઈ ચેતવણી જારી કરી નથી, પરંતુ અધિકારીઓએ માછીમારો અને દરિયાકાંઠાના રહેવાસીઓને હવામાનની માહિતી પર સતત નજર રાખવાની સલાહ આપી છે.












Click it and Unblock the Notifications
