જાણો : વિવાદાસ્પદ નિવેદન આપનારા સાધ્વી નિરંજન જ્યોતિએ PM મોદી વિશે શું કહ્યું?
ગાંધીનગર, 15 ડિસેમ્બર : તાજેતરમાં પોતાના નિવેદન અંગે મોટો વિવાદ ઉભો કરનારા કેન્દ્રીય પ્રધાન સાધ્વી નિરંજન જ્યોતિએ આજે અન્ય એક ચર્ચાસ્પદ નિવેદનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા છે. સાધ્વી નિરંજન જ્યોતિએ તેમને 'યુગપુરુષ' (મેન ઓફ ધ એરા) ગણાવ્યા છે.
ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે રવિવાર, 14 ડિસેમ્બર, 2014ના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સાધ્વી નિરંજન જ્યોતિએ કાર્યક્રમ બાદ રિપોર્ટર્સ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે 'હું આજે એ ધરતી પર આવી છું, જ્યાંથી દેશને બાપુજી (મહાત્મા ગાંધી) અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ મળ્યા છે. આ એ જ જમીન છે, જ્યાંથી આપણને આપણા યુગપુરુષ આપણા વડાપ્રધાન મળ્યા છે. અહીં આવીને સૌપ્રથમ મેં આ ધરતીને વંદન કર્યા છે.'

સાધ્વીને રામ મંદિરના મુદ્દે પ્રશ્ન પુછવામાં આવતા તેમણે માત્ર એટલું જણાવ્યું કે 'અમે રામ મંદિર બાંધીશું નહીં, તેઓ જ બાંધશે.' આ મુદ્દે તેમણે વધારે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.
સાધ્વી નિરંજન ભારતી શનિવાર 13 ડિસેમ્બરથી ગાંધીનગર ખાતે હિન્દુ નેતા સાધ્વી ઋતંભરાના માર્ગદર્શનમાં યોજાયેલી ત્રણ દિવસના 'ભક્તિ યોગ વેદાંત સંમેલન'માં ભાગ લેવા માટે આવ્યા હતા.
નોંધનીય છે કે કેન્દ્રમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીના મિનિસ્ટર ઓફ સ્ટેટ સાધ્વી નિરંજન જ્યોતિએ આ મહિનાના પ્રારંભમાં નવી દિલ્હીમાં એક રેલીમાં સંબોધન દરમિયાન અસંસદીય ભાષામાં સાંપ્રદાયિક નિવેદન આપતા ભારે હોબાળો મચ્યો હતો. જેના કારણે સંસદીય સત્રમાં પણ ભારે હંગામો જોવા મળ્યો હતો.
આ મુદ્દે વિપક્ષે ભારે વિરોધ કરતા અને માફી માંગવાનું કહેતા પ્રદર્શનો યોજ્યા હતા. જેના કારણે એનડીએ સરકારને નીચા જોણું થયું હતું. આ મુદ્દે સાધ્વીએ માફી માંગવી પડી હતી. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાજ્યસભામાં એક નિવેદન આપી આ શબ્દપ્રયોગને નામંજુર કર્યા હતા.












Click it and Unblock the Notifications
