
ગુજરાતમાં સતત હારતી કોંગ્રેસ પાછળ કોણ જવાબદાર?
ગુજરાતમાં 25 વર્ષ કરતાં વધુ સમયથી વનવાસ ભોગવતી કોંગ્રેસ માટે ઘર કા ભેદી લંકા ઢાયે અર્થાત વિભિષણોની ભરમાર મુખ્ય પરિબળ છે. કોંગ્રેસમાં આંતરીક જૂથવાદ અને નિરંકુશ નેતાગીરી પોતાનો સ્વાર્થ સાધવા પક્ષ અને સિદ્ધાંતો સાથે સોદો નિસંકોચપણે કરી રહ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં નેતાઓ અને પક્ષના કાર્યકરોનો પ્રવાહ નિરંતર ચાલુ જ રહે છે. સામાન્ય રીતે કોઇપણ પક્ષ 10 વર્ષ સળંગ શાસન કરે ત્યારે, સરકાર સામે જનતાનો આક્રોશ ઉભો થાય અને તે નારાજ વર્ગ વિપક્ષ પોતાના તરફે કરવામાં સફળ થાય તો સત્તા પરિવર્તન થાય, જેને એન્ટી ઇન્કમ્બન્સી કહેવાય. પરંતું, ગુજરાતમાં ઉલટી ગંગા વહે છે. અહી દિન પ્રતિદિન વિપક્ષ પ્રત્યે એન્ટી ઇન્કમબન્સી જોવા મળી રહી છે.
ગુજરાતમાં એકહથ્થુ શાસન ભોગવતાં ભાજપમાં નરેન્દ્ર મોદી સહિત પાંચ જેટલા મુખ્યમંત્રીઓ કાર્યકાળ ભોગવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોનું ભાજપા વિલિનીકરણ થતું રહ્યું છે, જેમાંથી કેટલાક કાળક્રમે ખોવાતાં રહ્યા છે તો, કેટલાક પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે.
2014 બાદ કોંગ્રેસ કેન્દ્રમાં પણ બચાવની સ્થિતિમાં આવી ગયો છે, પરંતું, જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસનો સુર્ય મધ્યાહ્રને હતો ત્યારે પણ ગુજરાતમાં તો ભાજપનુ શાસન હતું. આ સમયે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત કોંગ્રેસની ઉપેક્ષા કરી તેના પર કોઇ ધ્યાન આપવામાં ન આવ્યું. ગુજરાતના ટોચના નેતા તરીકે ગણાતા અહેમદ પટેલ કોંગ્રેસ અધ્યક્ષાના રાષ્ટ્રીય સલાહકાર હોવા છતાં તેમણે ગુજરાતમાં નેતૃત્વ સર્જન માટે કોઇ ઠોસ પગલાં ન લીધાં.
નરેન્દ્ર મોદીના જાયન્ટ નેતૃત્વ સામે સમગ્ર ગુજરાત કોંગ્રેસ ઠુસ્સ થઇ ગઇ અને કેન્દ્રિય નેતૃત્વ રાજ્યમાં સત્તા મળે કે ન મળે કેન્દ્રમાં આપણી સત્તા કાયમ છે એવા અહમમાં રહી કોઇ રણનીતિ કે ભૂમિકા નિભાવવા કાર્યવાહી કરી નહી. પરીણામે સ્થાનિક નેતાઓને છૂટો દોર મળ્યો અને તેમણે પોતાની લૉબી નહી તો કોઇની નહી.. હું જો મુખ્યમંત્રી ન બની શકું તો કોંગ્રેસનો કોઇ મુખ્યમંત્રીનો દાવેદાર ન હોય.. કોંગ્રેસના નેતાઓની આ ખોરી દાનતના કારણે પક્ષના પાયાના વફાદાર કાર્યકરોની સતત અવહેલના અને ફજેતી કરવામાં આવતી. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારને હરાવવા એકબીજા જૂથ સતત સક્રિય થઇ જતાં. આ કારણે, હરિફ ઉમેદવારની જીત સરળ થઇ જતી.
કોંગ્રેસની નબળી અને અકાર્યક્ષમ અને સિદ્ધાંતવિહિન નેતાગીરી તથા નેતૃત્વ વિકાસ કરવામાં હાઇકમાન્ડની ગુજરાતની ઉપેક્ષા અને કાર્યકરોની અવગણના કરી ટિકિટ ફાળવણી કરવી જૂથવાદ વકરવાના કારણે પક્ષ પરથી જનતાનો ભરોસો ઘટવા અને સર્વસ્વિકૃત નેતૃત્વની ઉણપ જેવા ઘણા કારણો છે. કોગ્રેસ વર્તમાન પોલિટિક્સની બહારના આયામ અને કાર્યપ્રણાલી સાથે મેદાનમાં ઉતરે છે. કોંગ્રેસમાં નિર્ણયશક્તિ અને અમલીકરણનો અભાવ છે. કોગ્રેસ સ્વ્યં પરિવર્તન વગર જનતા પરિવર્તન પર આધાર રાખી સત્તામાં આવવાની ઘેલછામાં રાચે છે.