સાની ડેમના કામમાં વિલંબ કેમ? સરકારની નીતિઓ પર ઉઠ્યા સવાલ
કલ્યાણપુર તાલુકાના 110 ગામને પીવાનું પાણી પૂરો પાડતો અને આજુબાજુના સેંકડો ગામોની ખેતી માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો સાની ડેમ આજે કેટલાય વર્ષોથી ખાલીખમ પડ્યો છે. ડેમના દરવાજા તોડી પાડ્યા પછી તંત્રએ ફરી બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, સમય મર્યાદામાં પાર્ટી કામ પૂર્ણ ના કરી શકતાં તેમનું ટેન્ડર રદ્દ કરી ફરી એકવાર ટેન્ડર બહાર પાડી નવી કંપનીને કામ સોંપવામાં આવે છે.

પરંતુ આ નવી કંપની પણ ગોકળ ગતિએ કામ કરી રહી હોવાની ખેડૂતોની ફરિયાદ ઉઠી રહી છે. છેલ્લા 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે પણ હજી સુધીમાં 10 ફૂટનો કાઢિયો પણ તૈયાર કરી શકાયો નથી. આમને આમ રહેશે તો હજી 2-3 વર્ષ કાઢિયો બનાવવામાં નિકળી જશે તેવો ખેડૂતોને ડર છે.
ડેમ હોવા છતાં આજુબાજુના ગામના ખેડૂતો સાની ડેમનો ઉપયોગ કરી શકતા નથી, દર વર્ષે લાખો ક્યૂસેક પાણી સમુદ્રમાં ભળી જાય છે, જેની ખારાશ ખેડૂતોએ આર્થિક પાયમાલીથી ભોગવવી પડી રહી છે. પાલભાઈ આંબલિયાએ જણાવ્યા મુજબ સાની ડેમ ના હોવાના કારણે દરેક ખેડૂતને વર્ષે ઓછામાં ઓછી 3 લાખની ખોટ ભોગવવી પડી રહી છે. આમ, સરકારની ઢીલી નીતિઓને કારણે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સરકારી બાબુઓની આળસના કારણે દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
આટલા વર્ષોથી ડેમ ખાલી છે, મજા આવે તે દી કામ કરશું, મજા આવે તે દી આરામની માનસિકતા ધરાવતા કોન્ટ્રાક્ટર કે સરકારના પેટનું પાણી પણ હલતું નથી.












Click it and Unblock the Notifications
