અનામત મુદ્દે હાર્દિક પટેલ અને વિઠ્ઠલ રાદડિયાનું વાકયુદ્ધ, જાણો કોણે શું કહ્યું
અનામત મુદ્દે હવે પાટીદારો જ એકબીજાની સામે થયા હોય તેવું લાગી રહ્યું છે. અનામત આંદોલનમાં હવે પાસના કન્વીનર હાર્દિક પટેલ સરકાર-પાટીદારો વચ્ચે મધ્યસ્થી કરનાર વિઠ્ઠલ રાદડિયા પર આક્ષેપો કર્યા હતા જે બાદ બન્ને વચ્ચે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપનો મારો શરૂ થઇ ગયો છે.
વિઠ્ઠલ રાદડિયાએ નિવેદન કર્યુ હતું કે જેલમાં રહીને હાર્દિકે માનસિક સમતુલન ગુમાવી દીધુ છે. તો તે બાદ હાર્દિક પટેલ પત્ર લખીને જણાવ્યું કે મારો સમાજ મહાન છે. ભાજપ કે વિઠ્ઠલ રાદડિયાનો નોકર નહીં. ત્યારે આ વાકયુદ્ધની શરૂઆત કેવી રીતે થઇ અને અત્યાર સુધી બન્ને એક બીજાને કેવી પ્રતિક્રિયાઓ આપી છે તે અંગે વિગતવાર વાંચો અહીં...
હાર્દિક પટેલે કરી શરૂઆત
હાર્દિક પટેલે જેલમાંથી મોકલેલા લેટર બોમ્બ દ્વારા આ વાક યુદ્ધની શરૂઆત થઇ હતી. તેણે સરકાર અને પાટીદારો વચ્ચે સમાધાન કરાવનાર પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડિયાને સ્પષ્ટ પત્ર લખી શબ્દોમાં કહ્યું છે સમાજ કે સંગઠનને નુક્શાન પહોંચાડશો તો તમારા મૂળિયા ઉખેડી નાખીશું
હાર્દિક: મારો સમાજ મહાન છે!
હાર્દિકે તેના પત્રમાં કહ્યું કે "મારો સમાજ મહાન છે. અને તે ભાજપ કે વિઠ્ઠલ રાદડિયાનો નોકર નથી. નોંધનીય છે કે એક સમય હતો જ્યારે હાર્દિક જેલમાં હતો ત્યારે તેણે વિઠ્ઠલ રાદડિયાને સમાધાન માટે આગળ આવવાની વાતને આવકારી હતી.
શું ખરેખરમાં હાર્દિકને કોઇ નથી જોયતું?
હાર્દિક પટેલના આવા જ લેટર બોમ્બ બાદ પાટીદાર સમાજની ફાયરબ્રાન્ડ મહિલા નેતા રેશ્મા પટેલ પણ આંદોલનમાંથી નામ પાછળ લીધુ હતું. જો કે આ વાકયુદ્ધ બાદ રેશ્મા પટેલે હાર્દિક પટેલને પોતાનો ટેકો આપ્યો હતો.
વિઠ્ઠલ: હાર્દિક પાગલ જેવી વાતો કરે છે.
જો કે હાર્દિક પટેલના આ લેટર બોમ્બ પર પ્રતિક્રિયા કરતા પટેલ નેતા વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું હતું કે હાર્દિક જેલમાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો છે. અને તે પાગલ જેવી વાતો કરે છે.
હાર્દિકને જેલમાં બેસી હિરો થવું છે
વધુમાં વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું હતું કે હાર્દિકને જેલમાં બેસીને હિરો બનવું છે. અને એટલા માટે જ તે આવી વાતો કરી રહ્યો છે.
ચૂંટણી લડવી છે હાર્દિકને: રાદડિયા
વધુમાં વિઠ્ઠલ રાદડિયાએ કહ્યું કે હાર્દિકને મને ગદ્દાર કહેવાનો કોઇ હક નથી. હાર્દિક અને તેના સાથીઓને ચૂંટણી લડવી છે. જો પાસના કાર્યકરોમાં તાકાત હોય તો તે ચૂંટણી જીતીને બતાવે. વધુમાં રાદડિયાએ પાસ દ્વારા લેવામાં આવતા ફંડના દુરઉપયોગ અંગે પણ ટિપ્પણી કરી હતી.
શું બધાને જોઇએ છે ફૂટેઝ?
જે રીતે પાટીદાર નેતાઓના એક પછી એક બયાનો આવી રહ્યા છે તે જાતો તેવું લાગે છે કે અનામતની આગમાં બધા જ પાટીદાર નેતાઓ પોત પોતાનો હાથ શેકવામાં રસ ધરાવે છે.