નર્મદા ડેમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે હાઇકોર્ટમાં રિટ
અમદાવાદ, 28 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન અને મહત્વકાંક્ષી યોજના 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના કાર્યને આંચકો લાગી શકે એમ છે. કારણ કે નર્મદા બંધમાં વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા બને એવી સરદાર પટેલની પ્રતિમા મૂકવાની યોજના સામે ગુજરાત હાઇ કોર્ટમાં રિટ કરવામાં આવી છે.
નર્મદા ડેમ પર સરદાર વલ્લભભાઇ પટેલની 392 ફૂટ ઉંચી લોખંડની પ્રતિમા સ્થાપિત નહીં કરવા દેવા અંગેની દાદ માંગતી જાહેર હિતની રિટ પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઇ છે. આ રિટમાં એમ જણાવવામાં આવ્યું છે કે સરદાર પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટ) મૂકવાની જાહેરાત એ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું રાજકીય ભવિષ્ય ઘડવા માટેનું કાવતરૂં છે. આ દ્વારા નરેન્દ્ર મોદી રાજકીય સફળતા મેળવવાનું કાવતરૂં કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ જાહેર હિતની રિટ પિટિશનમાં ખુદ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસની સુનવણી 4 જુલાઇના રોજ હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટમાં અરજદાર જીગ્નેશ ગોસ્વામી તરફથી કરવામાં આવેલી રિટમાં ઉપર મુજબના મુદ્દા ઉપસ્થિત કરાયા બાદ કોર્ટ શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે.