સંસદમાં હોબાળાને કારણે 104 વિધેયક મંજૂરી માટે અટવાયા
સંસદની કાર્યવાહી ઠપ રહેવાથી ખેદ વ્યક્ત કરતા કેટલાક સાંસદોએ જણાવ્યું છે કે હવે સાંસદોને ચર્ચા કરવાનો રસ જ રહ્યો નથી. સંસદમાં નાણા મંત્રાલયને લગતા 14 અને માનવ સંસાધન વિકાસને લગતા 12 વિધેયકો પડતર છે. ગૃહ અને કાયદા મંત્રાલયને લગતા 18, આરોગ્ય મંત્રાલયના આઠ, શ્રમ રોજગાર અને કૃષિ મંત્રાલયને લગતા છ અને પેન્શન ગ્રાહકોને લગતી બાબતોના મંત્રાલયની પાંચ વિધેયક અટવાયેલા પડ્યા છે.
પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજદના સાંસદ રઘુવંશ પ્રસાદ સિંહે જણાવ્યું રે સાંસદોમાં મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવાની રુચિ જ હવે ખતમ થઈ ગઈ છે. કેટલાક સાંસદો માત્ર શોરબકોર કરે છે. લોકશાહી માટે આ યોગ્ય સંકેત છે. કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે જણાવ્યું છે કે ''સંસદ એવો મંચ છે જ્યાં સાંસદો વિવિધ વિષયો પર ચર્ચા અને વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે, પરંતુ હંગામો મચાવીને સંસદની કાર્વયાહી ખોરવવામાં આવી રહી છે.''
વર્ષ 2010ના શિયાળુ સત્રમાં હંગામાના કારણે કોઈ કાર્યવાહી હાથ ધરી શકાઈ ન હતી. જ્યારે 2012નાં ચોમાસુ સત્રમાં 70 ટકાથી વધુ સમય વેડફાયો હતો. બજેટ સત્રમાં 49 ટકા સમયમાં કાર્યવાહી ઠપ રહી હતી.
વર્તમાન ચોમાસુ સત્રમાં પણ છેલ્લા ચાર દિવસથી કોઈ કાર્યવાહી ચાલી શકી નથી, આ અંગે મે મહિનામાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પણ વ્યથા વ્યક્ત કરતાં કહ્યું હતું કે સંસદમાં હવે ચર્ચાના બદલે વિઘ્નો વધી ગયાં છે.