ક્રુઝર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 11ના મોત, 7 ઘાયલ
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મંગળવારના રોજ (31 ઓગસ્ટ) સવારે અકસ્માત સર્જાયો હતો. એક ક્રુઝર અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
રાજસ્થાનના નાગૌર જિલ્લામાં મંગળવારના રોજ (31 ઓગસ્ટ) સવારે અકસ્માત સર્જાયો હતો. એક ક્રુઝર અને ટ્રક વચ્ચે ટક્કર સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચીસો સાંભળીને ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું.
પોલીસે માહિતી મેળવી અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અકસ્માત 31 ઓગસ્ટના રોજ સવારે 8.45 કલાકની આસપાસ શ્રી બાલાજી નગરના બાયપાસ પર થયો હતો. બાલાજી પોલીસ સ્ટેશનના SHO અનુસાર ક્રુઝરમાં સવાર તમામ લોકો ઉજ્જૈન જિલ્લાના ઘાટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસી હોવાનું કહેવાય છે. રામદેવરાના દર્શન કર્યા બાદ આ તમામ લોકો દેશનોક કરણી માતાના દર્શન કરવા જતા હતા. દરમિયાન તેમની કાર નાગૌરથી નોખા જઈ રહેલી એક ટ્રક રોડ સાથે અથડાઈ હતી.
આ ટક્કર એટલી જોરદાર હતી કે, ક્રુઝરનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેના કારણે ક્રુઝરમાં સવાર લોકો તેમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બાકીના 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે બિકાનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે સાત લોકોની સારવાર ચાલી રહી છે. મૃતકોની હજૂ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસ તેમની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. દુર્ઘટનાનું કારણ જાણવા પોલીસ હાલ તપાસ કરી રહી છે.
વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.