159 MP, 1193 MLA નથી ઇચ્છતા નોનસેન્સ વટહુકમ પાછો ખેંચાય
આજે વડાપ્રધાન મનમોહન સિંહે સવારે રાહુલ ગાંધી, ત્યાર બાદ સોનિયા ગાંધી સાથે આ મુદ્દે ચર્ચા કરી. તેઓ રાષ્ટ્રપતિને પણ મળ્યા. બપોરે આ મુદ્દે કોંગ્રેસ કોર ગ્રુપની બેઠકમાં પણ કલંકિત નેતાઓ અંગેના વટહુકમના મુદ્દે ચર્ચા કરવામાં આવી. હવે નિર્ણય એક જ છે કે તેને પાછો ખેંચવો કે નહીં. આ મુ્દે સાથી પક્ષો અને વિપક્ષો દ્વારા વિવિધ ટીકા ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. હવે સ્થિતિ એ છે કે દેશમાં 159 સાંસદો અને જુદા જુદા રાજ્યોના 1193 ધારાસભ્યો ઇચ્છતા નથી કે આ 'નોનસેન્સ' વટહુકમને પાછો ખેંચવામાં આવે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વયં એક પ્રેસકોન્ફરન્સમાં આ વટહુકમને નોનસેન્સ ગણાવ્યો હતો.
બેઠકોના દોર બાદ સાંજની કેબિનેટ મીટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. શું નિર્ણય લેવામાં આવે છે તેની જાણ દેશને થઇ જશે. મજેદાર વાત એ છે કે આ વટહુકમનો સૌથી વધારે વિરોધ સમાજવાદી પાર્ટી કરી રહી છે. સપા સારી રીતે જાણે છે કે વટહુકમમાં સુધારો થયો તો તેમના પાર્ટીના મોટા ભાગના નેતાઓ મુસીબતમાં મુકાઇ જશે. આમ છતાં અત્યાર સુધી તે પોતાના નિર્ણય પર મક્કમ છે.
આ કારણે વર્તમાન સમયમાં સપા ડબલ ઢોલકીની જેમ વાગી રહી છે. એક તરફ તે આ વટહુકમનો વિરોધ કરે છે બીજી તરફ એમ કહી રહી છે કે આ દોમધામ દર્શાવે છે કે યુપીએમાં સૌથી વધારે રાજ બીજા કોઇ નહીં પણ રાહુલ ગાંધીનું ચાલી રહ્યું છે.
હવે જો વાત રાજકીય નેતાઓની ઇચ્છાની કરીએ તો તેમનો અસલી ચહેરો ઉઘાડો પડી રહ્યો છે તેમ કહી શકાય એવી સ્થિતિ છે. આ વટહુકમ પાછો ખેંચવામાં ના આવે તેવું ઇચ્છતા સૌથી વધારે ધારાસભ્યો ઉત્તર પ્રદેશના છે. ઉત્તર પ્રદેશના 181 ધારાસભ્યો ઇચ્છે છે કે વટહુકમ પાછો ના ખેંચાય. ત્યાર બાદના ક્રમે મહારાષ્ટ્ર આવે છે. મહારાષ્ટ્રના 228માંથી 132 ધારાસભ્યો આવું ઇચ્છે છે કારણ કે તેમના પર ગંભીર ક્રિમિનલ કેસો લાગેલા છે.
ત્યાર બાદ પશ્ચિમ બંગાળના 101, આંધ્રપ્રદેશના 74, તમિલનાડુના 77, કેરળના 68, ગુજરાતના 58, મધ્યપ્રદેશના 57 નેતાઓ પર ક્રિમિનલ કેસો ચાલી રહ્યા છે. જેના કારણે તેઓ ઇચ્છે છે કે વટહુકમ પાછો ખેંચવામાં આવે નહીં.
આ વટહુકમ પાછો ખેંચાવાથી જેમને કોઇ ખાસ ફેર પડવાનો નથી તેવા રાજ્યોમાં નાગાલેન્ડ, મેઘાલય અને મણિપુરનો સમાવેશ થાય છે. કારણ કે અહીં નહીંવત ધારાસભ્યો છે જેમના પર ક્રિમિનલ કેસ ચાલે છે.