ત્રણ વર્ષમાં દેશમાં 17000 ટન અનાજનું નુકસાન : રિપોર્ટ
નવી દિલ્હી, 26 ઓગસ્ટ : એક તરફ કેન્દ્રની યુપીએ સરકાર અન્ન સુરક્ષા બિલના અમલીકરણ માટે ધમપછાડી કરી રહી છે ત્યારે એક અહેવાલ પ્રમાણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એફસીઆઈ)માં વર્ષ 2009-10થી જુલાઈ 2012 વચ્ચેના ગાળામાં 17,546 ટન અનાજનું નુકસાન થઈ ચૂક્યું છે.
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો નાશ પામે છે જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આરટીઆઈ મારફતે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ મુજબની વિગત સપાટી ઉપર આવી છે. કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ પ્રધાન શરદ પવાર કહી ચૂક્યા છે કે ફળ ફળાદી, અનાજ અને શાકભાજીના સ્વરૂપે દર વર્ષે રૂપિયા 44,000 કરોડનું નુકસાન થાય છે.
ખાદ્યાન ચીજવસ્તુઓ માટે સ્ટોરેજની પૂરતી સુવિધા અને અનાજની સુરક્ષિત જાળવણી માટેની પૂરતી વ્યવસ્થા નહીં હોવાથી આ મુજબની સમસ્યા ઊભી થાય છે. કાર્યકર દેવ આશીષ ભટ્ટાચાર્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં એફસીઆઈએ 23 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેના ગોડાઉનોમાં નુકસાન પામેલા અનાજની વિસ્તળત વિગત પૂરી પાડી હતી.
આંકડા દર્શાવે છે કે અનાજના નુકસાનમાં વર્ષવાર ઘટાડો થયો છે. સરકારને પણ ધણી સાવધાનીની જરૂર ઊભી થઈ છે. આ ગાળા દરમિયાન સૌથી મહત્તમ નુકસાન ઘઉંના જથ્થાને થયું છે. ઘઉંનો આશરે 7185 ટનનો જથ્થો નાશ પામ્યો છે, જ્યારે 6905 ટન ચોખાનો જથ્થો નાશ પામ્યો છે.
એફસીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે નુકસાન થયું છે. વર્ષ 2009 અને 2010 તથા 2011 અને 2012 વચ્ચેના ગાળામાં પશ્ચિમ બંગાળમાં 2300 ટન ચોખાનું નુકસાન થયું છે જ્યારે પંજાબમાં વર્ષ 2009-10માં નુકસાન 2223 ટનની આસપાસ હતું જે 2011-12માં ઘટીને માત્ર 37 ટન થઈ ગયું છે.
પુરવઠા પ્રધાન કે વી થોમસ કહી ચૂક્યા છે કે ખાદ્યાન સુરક્ષા સ્કીમ માટે સરકારને 62 મિલિયન ટન અનાજની જરૂર છે. ગયા વર્ષે અમે 82 મિલિયન ટન અનાજ મેળવી ચૂક્યા છે. પરિવહન અને સ્ટોરેજના અભાવે 0.07 ટકાથી ઓછી નુકસાન થયું છે. પ્રધાને એમ પણ કહ્યું હતું કે પાંચ વર્ષ અગાઉ જ્યારે સ્ટોરેજ ક્ષમતા 55 મિલિયન ટન હતી. હવે સ્ટોરેજ ક્ષમતા વધારીને 74 મિલિયન ટન કરી દેવામાં આવી છે. તેમને એમ પણ કહ્યું હતું કે સરકારે પીડીએસ જરૂરિયાતના ચાર મહિના માટે ઇન્ટર મિડિયટ સ્ટોરેજ ક્ષમતામાં તીવ્ર વધારો કરવાની જરૂર છે. ચાર લાખ ટનની આને જરૂર હોય છે.