દિલ્હી-NCRમાં આવ્યા ભૂકંપના ઝટકા, 3.6ની હતી તીવ્રતા
મળતી માહિતી મુજબ બુધવારે બપોરે લગભગ 2.15 કલાકે દિલ્હી-એનસીઆર, પશ્ચિમ યુપી અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં બુધવારે બપોરે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર પાસે હતું. આ ભૂકંપની તીવ્રતા 3.6 રિક્ટર સ્કેલ પર માપવામાં આવી છે. લોકોએ કહ્યું કે ભૂકંપ ક્યારે આવ્યો અને ક્યારે ગયો તેની તેમને ખબર પણ ન પડી.

મળતી માહિતી મુજબ બુધવારે બપોરે લગભગ 2.15 કલાકે દિલ્હી-એનસીઆર, પશ્ચિમ યુપી અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.6 માપવામાં આવી હતી.
ઉત્તરાખંડના પિથોરાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. અહીં બપોરે 1.30 કલાકે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉત્તરાખંડના પિથોરાગઢથી 143 કિમી પૂર્વમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.
ભારતીય માનક બ્યુરોએ દેશને પાંચ ભૂકંપ ઝોનમાં વિભાજિત કર્યો છે. દેશનો 59 ટકા હિસ્સો ભૂકંપના જોખમના ક્ષેત્રમાં છે. પાંચમો ઝોન ભારતમાં સૌથી ખતરનાક અને સક્રિય માનવામાં આવે છે. સૌથી ખતરનાક ઝોનમાં જમ્મુ અને કાશ્મીર (કાશ્મીર ખીણ), હિમાચલ પ્રદેશનો પશ્ચિમ ભાગ, ઉત્તરાખંડનો પૂર્વ ભાગ, ગુજરાતમાં કચ્છનો રણ, ઉત્તર બિહારનો ભાગ, ભારતના તમામ ઉત્તરપૂર્વીય રાજ્યો, આંદામાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
