ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 3 આતંકવાદી ઠાર, મોટી માત્રામાં હથિયારો મળ્યા
ગુરુવારની વહેલી સવારે રામપુર સેક્ટરના હાથલંગા જંગલમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જે બાદ શરૂ કરાયેલા ઓપરેશન ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળ રહ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે.
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના ઉરી નજીક રામપુર સેક્ટરમાં ગુરૂવારના રોજ સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. LoC પર રામપુર સેક્ટરમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે. તેમના પાસેથી હથિયારોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં પાંચ એકે 47, 8 પિસ્તોલ અને 70 હેન્ડ ગ્રેનેડનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું કે, તાજેતરમાં જ આતંકવાદીઓ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) થી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.
આતંકીઓ પાસેથી પાંચ એકે 47, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ મળી આવ્યા
ચિનાર કોર્પ્સ કમાન્ડર ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, ગુરુવારની વહેલી સવારે રામપુર સેક્ટરના હાથલંગા જંગલમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી. જે બાદ શરૂ કરાયેલા ઓપરેશન ત્રણ આતંકીઓને ઠાર કરવામાં સફળ રહ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક પાકિસ્તાની છે, બાકીના આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. સેના દ્વારા હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં આતંકીઓ પાસેથી પાંચ એકે 47, 8 પિસ્તોલ અને 70 ગ્રેનેડ મળી આવ્યા છે.
બુધવારના રોજ ટેલિફોન અને ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી
આ અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ આતંકવાદીઓ દ્વારા આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને નિષ્ફળ કરવામાં આવ્યો હતો. સાવચેતીના પગલા તરીકે સોમવારના રોજ સરહદી નગરમાં તમામ ટેલિકોમ સુવિધાઓ સ્થગિત કરવામાં આવી હતી. જો કે, બુધવારના રોજ ટેલિફોન અને ઈન્ટરનેટ સેવા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી.
આ ઓપરેશનમાં એક સૈનિક ઘાયલ થયો
સર્ચ ઓપરેશનનો આજે પાંચમો દિવસ છે. અધિકારીઓએ બુધવારના રોજ જણાવ્યું હતું કે, નિયંત્રણ રેખા સાથે વાડ નજીક દુશ્મન સાથે "પ્રારંભિક સંપર્ક" માં એક સૈનિક ઘાયલ થયો હતો.
કુલગામ જિલ્લાના અહરબલના ત્રિનારી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કર્યો
બીજી તરફ સેનાએ કુલગામ જિલ્લાના અહરબલના ત્રિનારી જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. આ દરમિયાન સુરક્ષા દળોએ હથિયારો, દારૂગોળો અને ખાદ્ય પદાર્થો જપ્ત કર્યા હતા. આ સાથે જ આ વિસ્તારમાં આતંકવાદીઓની શોધમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. તો આ સાથે જ બીજી બાજુ શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે જણાવ્યું કે, ગુરુવારના રોજ સક્રિય આતંકવાદી અનાયત અશરફ ડાર, જે OGW હતા અને શોપિયાના કેશવામાં ડ્રગ્સના કેસમાં પણ શામેલ હતો, તેને ગોળીબાર કરીને એક નાગરિકને ઘાયલ કર્યો હતો.