4500 ગુજરાતીઓ ફસાયા જમ્મુ-કાશ્મીરમાં, આજે ત્રીજો દિવસ
જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીની મોત પછી જમ્મુ કાશ્મીરમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતી છે. જેણે 6 વર્ષો પછી ફરી એક વાર કાશ્મીરની શાંતિને ખોરવી દીધી છે. કાશ્મીર હિંસામાં જ્યાં મૃત્યુઆંક 24 સુધી પહોંચ્યો છે ત્યાં જ આના કારણે અમરનાથ યાત્રા પર જનાર શ્રદ્ધાળુઓને પણ મોટા પ્રમાણમાં આના કારણે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
કાશ્મીરમાં હિંસાના કારણે ગત ત્રણ દિવસથી અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે. જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં અટવાઇ પડ્યા છે. જેમાં ગુજરાતમા 4500 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. જે ગત ત્રણ દિવસથી હોટલોમાં પૂરાઇ રહેવું પડી રહ્યું છે. નોંધનીય છે કે આ યાત્રામાં ગુજરાતના કેટલાક જાણીતા ધારાસભ્ય અને નેતાઓનો પણ સમાવેશ થાય છે જે અહીં ફસાયા છે.
લોકોમાં ફફડાટ
રાજ્ય દ્વારા પ્રાપ્ત થયેલા 4500 જેટલા ગુજરાતીઓ જમ્મુ કાશ્મીરના થયેલી આ હિંસક અથડામણના કારણે ત્યાં અટવાયા છે. વળી અહીં રહેલા ગુજરાતીઓ સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે અહીં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે જેના કારણે શ્રદ્ધાળુઓમાં ભયની લાગણી ફેલાયેલી છે.
ખાવા પીવાના ફાંફા
જે લોકો હોટલમાં ફસાયા છે તેમણે પણ અહીં દુકાનો બંધ હોવાના કારણે ખાવા પીવાની અને જીવનજરૂરી વસ્તુઓની તંગી અનુભવાઇ રહી છે. વળી જે લોકોને કેમ્પમાં રાખવામાં આવ્યા છે તેમની પણ અહીંની ઠંડીના કારણે તબિયત બગડી રહે છે.
કોઇ મદદે નથી આવ્યું
આ ગુજરાતી યાત્રીઓમાં રાજુલાના ધારાસભ્યથી લઇને અનેક વરિષ્ઠ લોકો જોડાયેલા છે પણ ત્રણ દિવસથી અમરનાથ યાત્રા રોકવામાં આવી છે અને ફસાયેલા લોકોને યોગ્ય સ્થળે લઇ જવા માટે કોઇ વ્યવસ્થા અહીંના તંત્ર દ્વારા કરવામાં નથી આવી તેવું આ શ્રદ્ઘાળુઓનું કહેવું છે.
અમરનાથ યાત્રા
તો કેટલાક યાત્રીઓએ જેમની અમરનાથ યાત્રા વચ્ચેથી અટકી પડી છે તેમણે આ યાત્રા પૂરી થશે તો જ જઇશું તેવી મક્કમતા પણ બતાવી છે. ત્યારે આવનારા દિવસોમાં હાલત સારા થાય અને તમામ લોકો હેમખેમ પરત ફરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.