કોલસા કૌભાંડ સંબંધિત 95 ટકા ફાઇલો મળી ગઇ : શ્રીપ્રકાશ જયસ્વાલ
નવી દિલ્હી, 10 સપ્ટેમ્બર : કેન્દ્રીય કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે જણાવ્યું છે કે કોલસા કૌભાંડ સાથે સંકળાયેલી 95 ટકા ફાઇલો અમને મળી ગઇ છે. જો મંગળવાર સુધીમાં ફાઇલો મળશે નહીં તો પછી આ અંગેની એફઆઇઆર નોંધાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. આ કારણે એફઆઇઆર પણ સીબીઆઇ નોંધાવશે. કેન્દ્રીય મત્રીના જણાવ્યા અનુસાર કોલસા ખાણોની ફાળવણી સાથે સંકળાયેલા 20 વર્ષ જુના કેસોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે સંકળાયેલી જે પણ ફાઇલો છે તે મંગળવાર સુધીમાં સીબીઆઇને સોંપવામાં આવશે.
કોલસા કૌભાંડની ફાઇલો ગાયબ થવા સંબંધિત મુદ્દો ચોમાસુ સત્રના અંતિમ દિવસ શનિવારે પણ સંસદમાં છવાયેલો રહ્યો હતો. જેમાં વિપક્ષે આરોપ લગાવ્યો છે કે આ કેસ સાથે સંબંધિત 147 ફાઇલો ગાયબ થઇ ગઇ છે. વડાપ્રધાન મનમોહન સિંહે પણ જણાવ્યું કે જેણે આ કેસ સંબંધિત ફાઇલો ગુમ કરી છે તેમને સજા મળશે. સીબીઆઇ આ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેમણે ચેતવણી આપી કે જો રેકોર્ડ્સ મળશે નહીં તો તેની વિસ્તારથી તપાસ કરવામાં આવશે. આ કેસમાં સામેલ લોકોને પણ બહાર લાવવામાં આવશે.
કોલસા મંત્રીએ સોમવારે રાયપુરમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે કંપનીઓના વિકેન્દ્રીકરણનો નિર્ણય નાણા મંત્રાલયે લીધો છે, પરંતુ તેનું સ્વરૂપ કેવું હશે તેનો નિર્ણય થઇ શક્યો નથી.