દેશમાં ગત છ મહિનામાં 95 વાઘોના મોત, જાણો કારણ
વિશાખાપટ્ટનમના ઇન્દિરા ગાંધી પ્રાણી ઉદ્યાનમાં 24 કલાક દરમિયાન બે વાઘના મોત થયા હતા. આ સાથે દેશમાં આ વર્ષના શરૂઆતના છ મહિના દરમિયાન 95થી વધુ વાઘોના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં થયા છે.
ઈન્દિરા ગાંધી ઝૂઓલોજિકલ પાર્કમાં વૃદ્ધાવસ્થાના કારણે 22 વર્ષીય જાનકી નામની વાઘણનું મૃત્યુ થયું હતું. તેના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

આવા સમયે 23 વર્ષીય કુમારી નામની વાઘણનું પણ મોડી રાત્રે એઆરસી (એનિમલ રેસ્ક્યુ સેન્ટર)માં મોત થયું હતું. ઝૂઓલોજિકલ પાર્કની ક્યુરેટર નંદની સલારિયાએ જણાવ્યું હતું કે, વાઘણની ઉંમર સરેરાશ ઉંમર કરતાં વધી ગઈ હતી.
આ વર્ષે એપ્રિલમાં, પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવા પર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 માટે વાઘની વસ્તી ગણતરીના આંકડા જાહેર કર્યા હતા. આ મુજબ 2018 થી દેશમાં 200 વાઘ વધ્યા છે, પરંતુ તેના અડધા વાઘ 2023 ના પ્રથમ છ મહિનામાં મૃત્યુ પામ્યા છે.
નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી અનુસાર, આ વર્ષે 25 જૂન સુધીમાં સમગ્ર દેશમાં 95 વાઘના મોત નોંધાયા છે. સૌથી વધુ 24 વાઘ મધ્ય પ્રદેશમાં, 19 મહારાષ્ટ્રમાં અને 14 ઉત્તરાખંડમાં મૃત્યુ પામ્યા છે. આ મામલે કેન્દ્રીય વન મંત્રાલય દ્વારા તમામ રાજ્યોમાં તપાસના આદેશ આપ્યા છે.
ઉત્તરાખંડમાં વાઘ રિઝર્વની બહાર કુમાઉ પ્રદેશમાં સૌથી વધુ વાઘના મૃત્યુ થયા છે, જ્યારે કોર્બેટ ટાઇગર રિઝર્વમાં પાંચ વાઘ અને રાજાજી ટાઇગર રિઝર્વમાં બે વાઘના મોત થયા છે. તાજેતરમાં કોર્બેટની કાલગઢ રેન્જમાં એક ઘાયલ વાઘણ પણ મળી આવી હતી, જેના પેટની આસપાસ લોખંડના તારનો નૂઝ દબાયેલો હતો.
કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયના મહાનિર્દેશક સીપી ગોયલ કહે છે કે વસ્તી વધવાની સાથે જંગલો પર અતિક્રમણનું દબાણ વધી રહ્યું છે. 2021માં ઉત્તરાખંડમાં ત્રણ વાઘ અને 2022માં કુલ છ વાઘના મોત થયા હતા.
વર્ષ 2018ની વસ્તી ગણતરી મુજબ, મધ્યપ્રદેશ 526 વાઘ સાથે પ્રથમ ક્રમે છે. કર્ણાટક 524 વાઘ સાથે બીજા અને ઉત્તરાખંડ 442 વાઘ સાથે ત્રીજા ક્રમે છે.












Click it and Unblock the Notifications
