ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડનારા ખેલાડી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ
2007 માં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ટીમમાં જોગીંદર શર્મા છેલ્લી ઓવર ફેંકીને સ્ટાર બની ગયો હતો. હવે તેના નામે પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે.
અહેવાલો અનુસાર, હરિયાણા પોલીસે પૂર્વ ભારતીય ક્રિકેટર જોગીન્દર શર્મા અને અન્ય પાંચ વિરુદ્ધ FIR નોંધી છે. હિસારના રહેવાસી યુવકની આત્મહત્યા કેસમાં જોગીન્દર શર્માનું નામ સામે આવ્યું છે.

સમાચારો અનુસાર, હિસારના ડબરા ગામના રહેવાસી પવને 1 જાન્યુઆરીએ રાત્રે મિલકતના વિવાદમાં દબાણને કારણે પોતાના ઘરના સીલિંગ ફેન સાથે લટકીને આત્મહત્યા કરી હતી.
આ ઘટના બાદ પરિવારજનો આઘાતમાં છે. મૃતકના પરિવારજનોએ પવનનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. પરિવારજનોએ પવનને આત્મહત્યા માટે ઉશ્કેરનારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.
હરિયાણા પોલીસમાં એફઆઈઆર નોંધાવતા પરિવારે કહ્યું છે કે, એટ્રોસિટી અંતર્ગત કેસ નોંધવામાં આવે અને આત્મહત્યા માટે ઉશ્કેરનારાઓ સામે પગલાં લેવામાં આવે.
અહેવાલો અનુસાર, પવનની માતા સુનીતાની ફરિયાદના આધારે હિસારના પૂર્વ ડીએસપી જોગીન્દર શર્મા અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મૃતકની માતા અનુસાર, અજયબીર, ઈશ્વર ઝાઝરિયા, પ્રેમ ખાટી, રાજેન્દ્ર સિહાગ અને જોગીન્દર શર્મા સાથે ઘરને લઈને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસને કારણે તેનો પુત્ર પવન પરેશાન હતો.
પવનની માતાએ આરોપ લગાવ્યો છે કે, તેમનો પુત્ર ઘર ખાલી કરવાની ધમકીને કારણે તણાવમાં હતો અને આત્મહત્યા કરી લીધી. સુનીતાએ જણાવ્યું કે, પવન પહેલા તેની પુત્રીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
માતા સુનીતાનો આરોપ છે કે, આ બધા આરોપી બધા 6 નવેમ્બર 2020ના રોજ તેમના ઘરે આવ્યા હતા અને કવિતાને ધમકાવી હતી. ત્યારબાદ તેની પુત્રીએ 9 નવેમ્બરના રોજ ઉંદર મારવાની દવા ખાઈ લીધી હતી. જો કે, કવિતાને સારવાર મળતા તે બચી ગઈ હતી.












Click it and Unblock the Notifications
