મનીષ સિસોદિયાને જેલમાં ખતરો હોવાનો AAP નો દાવો, જાણો શું કહ્યું જેલ પ્રસાશને?
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે મનીષ સિસોદિયા અન્ય ખતરનાક ગુનેગારો સાથે તિહાર જેલમાં બંધ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવાનો ઇનકાર કરવામાં આવ્યો.

નવી દિલ્હી : દિલ્હી આબકારી કેસમાં મનીષ સિસોદિયાની ધરપકડ બાદ તેને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. હવે આમ આદમી પાર્ટીએ અહીં જેલમાં મનીષ સિસોદિયાને ખતરો હોવાનો દાવો કરી રહી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે આરોપ લગાવ્યો છે કે મનીષ સિસોદિયા અન્ય ખતરનાક ગુનેગારો સાથે તિહાર જેલમાં બંધ છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવાનો ઇનકાર કરવામાં આવ્યો.
સૌરભ ભારદ્વાજે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હોળી પર મીડિયા સાથે વાત કરવાનું કારણ કેન્દ્રના ષડયંત્રનો પર્દાફાશ કરવાનું છે. તેના કારણે મનીષ સિસોદિયા જેલના સળિયા પાછળ છે. તેમણે આરોપ લગાવ્યો કે, કથિત દારૂ કૌભાંડ કેસમાં સિસોદિયાની ધરપકડ મોટા ષડયંત્રનો ભાગ છે. તેમને તિહારની જેલ નંબર 1 માં રાખવામાં આવ્યા છે. અહીં પ્રથમ ટ્રાયલવાળા લોકોને રાખવામાં આવતા નથી. જેલ નંબર 1 માં કેટલાક સૌથી ખતરનાક ગુનેગારો અને હત્યારાઓ માટે સેલ છે.
અહીં તેમણે આગળ કહ્યું કે, અમે ભાજપના રાજકીય હરીફ છીએ, પરંતુ શું રાજકારણમાં આ પ્રકારની દુશ્મની થાય છે, અમે ભાજપ પાસેથી જાણવા માંગીએ છીએ, તમે અમને દિલ્હી અને MCDમાં હરાવી શક્યા નથી, શું PM આ હારનો બદલો આ રીતે લેશે?
અહીં સૌરભ ભારદ્વાજે સવાલ કર્યો કે, કોર્ટના આદેશ મુજબ સિસોદિયાને વિપશ્યના સેલમાં રાખવાના હતા પરંતુ તેમને આવા ખતરનાક ગુનેગારો સાથે કેમ રાખવામાં આવ્યા? તેમણે દાવો કર્યો કે આજે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન આપણી વચ્ચે નથી પરંતુ ચિંતા પણ છે કે શું કેન્દ્ર સરકાર રાજકીય હત્યાઓ કરશે.
સિસોદિયાને ખતરનાક કેદીઓ સાથે રાખવાના આરોપ અંગે જેલ પ્રસાશનનો ખુલાસો પણ સામે આવ્યો છે. એક નિવેદનમાં પ્રસાશને જણાવ્યું છે કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને મનીષ સિસોદિયાને સામાન્ય કેદીઓથી અલગ વોર્ડ સોંપવામાં આવ્યા છે. સીજે-1 વોર્ડ જ્યાં સિસોદિયાને રાખવામાં આવ્યા છે તેમાં ઓછામાં ઓછો એક કેદી છે, જે ગેંગસ્ટર નથી અને જેલની અંદર તેનું વર્તન સારું છે.












Click it and Unblock the Notifications
