મોદીના નામ પર અડવાણી અસંમત: નિર્ણય રાજનાથના હાથમાં
નવી દિલ્હી, 11 સપ્ટેમ્બર : લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર માટે ભાજપમાંથી નરેન્દ્ર મોદીના નામ સામે ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો નનૈયો હજી પણ યથાવત છે. બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે તેમની સાથે મુલાકાત યોજીને તેમને મોદીના નામ અંગે મનાવવાના પ્રયત્નો કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર અડવાણી હજી પણ પોતાની જીદ પર અડગ છે. અડવાણીના મિજાજને જોતા શુક્રવારે મળનારી ભાજપની સંસદીય બોર્ડની બેઠકના આયોજન અંગે પણ શંકા છે. આ બેઠકમાં મોદીનું નામ જાહેર કરવાનું આયોજન છે.

ભાજપ પર નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરવા માટે સંઘનું દબાણ સતત વધી રહ્યું છે. પાર્ટીની ઇચ્છા છે કે નરેન્દ્ર મોદીના નામની દરખાસ્ત અડવાણી રજૂ કરે. અડવાણી પોતાની વાત પરથી ટસથી મસ થતા નથી. તેઓ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીના નામની ઘોષણા અંગે સહમત નથી.
અડવાણીની અડોડાઇને કારણે હવે પાર્ટી અધ્યક્ષ તરીકે અંતિમ નિર્ણય રાજનાથ સિંહના હાથમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે જો 13 સપ્ટેમ્બર, 2013ના રોજ ભાજપની સંસદીય બોર્ડની બેઠક યોજાશે તો તેમાં નરેન્દ્ર મોદીના નામની ઘોષણા કરવામાં આવશે અને મોદી ભાજપના ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપશે. ત્યાર બાદ આ પદ સુષ્મા સ્વરાજને આપવામાં આવશે. જો સુષ્માએ આ પદ સ્વીકારવાનો ઇનકાર કર્યો તો તે અરૂણ જેટલી અથવા નીતિન ગડકરીને આપી શકાય એમ છે.












Click it and Unblock the Notifications
