એક નજર કરીએ રાજપાટમાં જીવી રહેલા મુખ્યમંત્રીઓ પર...
અમદાવાદ, 17 જાન્યુઆરી: તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાનદાર 28 બેઠકો પર ઐતિહાસિક જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીની મુખ્યમંત્રીની ગાદી પર બિરાજમાન થયા છે. કેજરીવાલ પહેલેથી એવી માળા જપતા આવ્યા છે કે તેઓ કોઇ સરકારી સુવિધાઓનો લાભ નહીં લે. તેમજ તેઓ સરકારી આવાસ, કાર, કે સુરક્ષાનો પણ લાભ લેશે નહીં.
જોકે કેજરીવાલને દિલ્હી ખાતે 5 ઓરડાનો બંગલો સરકાર તરફથી આપવામાં આવતા અને તેનો કેજરીવાલ દ્વારા સ્વીકાર કરાતા મીડિયા અને વિરોધી પક્ષો દ્વારા ભારે હોબાળો ઊભો કરવામાં આવ્યો હતો. જોકે તેના માટે કેજરીવાલનું કહેવું એવું હતું કે મારું હાલનું ઘર ચાર ઓરડાનું છે અને અત્રે મને પાંચ ઓરડાનું મકાન મળી રહ્યું છે જેમાંથી એક ઓરડાનો ઉપયોગ અમે કાર્યાલય તરીકે કરવાના છીએ. જોકે વિરોધના પગલે કેજરીવાલે આ આવાસને પણ ઠોકર મારી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમીના બેલી અરવિંદ કેજરીવાલ પહેલા એવા નેતા કે મુખ્યમંત્રી નથી જેઓ સરકારી સુવિધાઓને નહીં ભોગવવાની વાત કરતા હોય. આ પહેલા આપણે એવા મુખ્યમંત્રીઓની ચર્ચા કરી હતી જેઓ મુખ્યમંત્રી હોવા છતાં પણ સામાન્ય નાગરિકોની જેમ પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હોય...વધુ વાચવા માટે ક્લિક કરો...
અત્રે આપણે એવા મુખ્યમંત્રીઓની વાત કરવા જઇ રહ્યા છીએ જેઓ મુખ્યમંત્રી બન્યા બાદ રાજાપાટમાં જીવી રહ્યા છે. તેઓની પાસે જાહોજહાલી છે અને 15-15 રૂમના સરકારી બંગલામાં આરામ ફરમાવી રહ્યા છે. આવો એક નજર કરીએ રાજપાટમાં જીવી રહેલા મુખ્યમંત્રીઓ પર...
શિવરાજ સિંહ ચૌહાણ, મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પોતાને સામાન્ય વ્યક્તિ ગણાવે છે, પરંતુ બે આલીશાન બંગલાઓ તેમના કબ્જામાં છે. મધ્ય પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ બે-બે ભવ્ય સરકારી બંગલાઓમાં રહે છે. એક બંગલો શ્યામલા હિલ્સ પર સીએમ હાઉસ છે, જ્યાં શિવરાજ પોતે રહે છે પરંતુ બી-8 74 બંગલામાં પણ શિવરાજ સિંહ ચૌહાણની જ નેમપ્લેટ લાગેલી છે. શિવરાજને આ ઘર સાંસદ તરીકે મળ્યું હતું, જેને મુખ્યમંત્રી બન્યા બાદ પણ તેમણે છોડ્યું નથી.
અખિલેશ યાદવ, ઉત્તર પ્રદેશ
રાજકીય ક્ષેત્રે મહત્વના રાજ્ય ઉત્તર પ્રદેશ, જ્યાં સમાજવાદી પાર્ટી સત્તામાં છે. પરંતુ મુખ્યમંત્રીના બંગલામાં સમાજવાદને પ્રવેશવાની પરવાનગી નથી. ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના મુખ્યમંત્રી અખિલેશ યાદવ મુખ્યમંત્રી આવાસમાં રહેતા નથી, તેઓ લખનઉમાં મુલાયમ સિંહને મળેલા બંગલામાં રહે છે. 25 હજાર વર્ગ ફૂટમાં બનેલા આ બંગલામાં 10થી 15 ઓરડાઓ છે.
પૃથ્વી રાજ ચૌહાણ, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણની છબી સીધી અને સાદી છે. પરંતુ આ વાત તેમના બંગલા પર લાગુ પડતી નથી. મુંબઇના સૌથી મોંઘા વિસ્તારમાંનો એક માલાબાર હિલ્સ પર મહારાષ્ટ્રના કોંગ્રેસી મુખ્યમંત્રીનો બંગલો આવેલો છે. 12 હજાર વર્ગ ફૂટ વિસ્તારમાં બનેલા આ બંગલામાં તમામ સુવિધાઓની સાથે સાથે મુખ્યમંત્રીનું કાર્યાલય પણ બનેલું છે.
વસુંધરા રાજે, રાજસ્થાન
રાજસ્થાનમાં મહારાણીના નામથી જાણીતી મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાએ સત્તામાં ફરીથી પાછી ફર્યા બાદ પણ સરકારી મકાનમાં રહેવા ગઇ નથી. લાગે છે કે સાદગીને લઇને ચાલી રહેલી ચર્ચાની તેમની પર અસર થઇ છે. રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ સાદગીનું ઉદાહરણ રજૂ કરવા માટે નવા સરકારી મકાનને ઠોકર મારીને જૂનામાં રહેવાનું પસંદ કર્યું છે. જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી પૂર્વ મુખ્યમંત્રીની હેસિયતથી રહી રહ્યા હતા. પરંતુ રાજેનું આ જુનું મકાન પણ કઇ નાનું નથી, ત્રણ બેડરૂમવાળા એક ભાગમાં તે પોતે રહે છે બીજા ભાગમાં તે મુખ્યમંત્રીનું કાર્યાલય ચલાવે છે.
સિદ્ધારમૈયા, કર્ણાટક
બેંગલુરુમાં કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પણ એક બંગલાથી સંતોષ નથી. તેમની પાસે પણ બે-બે બંગલા છે.
નરેન્દ્ર મોદી, ગુજરાત
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે વડાપ્રધાન પદના ઉમેદવાર છે. મોદી ગાંધીનગરમાં એક આલીશાન બંગલામાં રહે છે. મોદી માટે તો બે બંગલા એક કરીને એક કિલ્લા સમાન બંગલો બનાવવામાં આવ્યો છે. બંગલો લગભગ 27 હજાર ફૂટ પર બનેલો છે. હાલમાં જ તેના રિનોવેશન માટે 2 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. બંગલાની આજુબાજુ 20 ફૂટ ઊંચી દીવાર બનાવવામાં આવી છે.