પ્રણવ રોય અને રાધિકા રોય બાદ હવે રવિશ કુમારે NDTV છોડ્યુ, પ્રમુખ સુપર્ણા સિંહે જાહેરાત કરી!
પ્રણવ રોય અને રાધિકા રોયના રાજીનામાં બાદ હવે એનડીટીવીમાંથી રવિશ કુમારે રાજીનામું આપ્યુ છે. મળતી વિગતો અનુસાર, રવિશ કુમારે ઈમેલ દ્વારા રાજીનામું આપ્યું છે.
નવી દિલ્હી : પ્રણવ રોય અને રાધિકા રોયના રાજીનામાં બાદ હવે એનડીટીવીમાંથી રવિશ કુમારે રાજીનામું આપ્યુ છે. મળતી વિગતો અનુસાર, રવિશ કુમારે ઈમેલ દ્વારા રાજીનામું આપ્યું છે. આ રાજીનામાંનો સ્વીકાર કરી લેવાયો છે. NDTV ગ્રૂપના પ્રમુખ સુપર્ણા સિંહે તમામ કર્મચારીઓને ઈમેલ દ્વારા આ માહિતી આપી હતી.
રવિશ કુમારની ગણતરી દેશના સૌથી પ્રતિષ્ઠિત પત્રકારોમાં થાય છે. રવિશ કુમાર તેના બેબાક અંદાજ માટે લોકપ્રિય છે અને સતત જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવતા આવ્યા છે. હવે રવિશ કુમારે એનડીટીવી છોડવાની જાહેરાત કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, NDTV ન્યૂઝ ચેનલના સ્થાપક અને પ્રમોટર પ્રણય રોય અને પ્રમોટર રાધિકા રોયના રાજીનામાના એક દિવસ બાદ રવિશ કુમારનું રાજીનામું આવ્યુ છે. NDTV પ્રમોટર્સ રાધિકા રાય અને પ્રણય રાયે RRPRH ગ્રુપના બોર્ડમાંથી ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું હતું.
આ બાબતે માહિતી આપતા NDTV ગ્રૂપના પ્રેસિડેન્ટ સુપર્ણા સિંહે જણાવ્યું કે, કોઈક પત્રકારો જ લોકોને પ્રભાવિત કરી શકે છે. રવીશ કુમાર દાયકાઓથી NDTVનો અભિન્ન ભાગ છે. તેમનું મોટુ યોગદાન રહ્યું છે. અમે જાણીએ છીએ કે તેઓ તેમની નવી શરૂઆતમાં અત્યંત સફળ થશે.
અહીં એ જાણવુ પણ જરૂરી છે કે, રવીશ કુમારને રેમન મેગ્સેસે પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય ચેનલના જાણીતા શો હમ લોગ, રવીશ કી રિપોર્ટ, દેશ કી બાત અને પ્રાઇમ ટાઇમ સહિતના ઘણા કાર્યક્રમો હોસ્ટ કરતા હતા. તેમને બે વખત રામનાથ ગોએન્કા એક્સલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.