આજથી એર ઇન્ડિયા ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ શરૂ કરશે
સરકારે કહ્યું છે કે એરલાઈન ચાલુ નાણાકીય વર્ષમાં તેના ખર્ચમાં રૂપિયા 2000 કરોડ જેટલો ઘટાડો કરશે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોઈમ્બતુરમાં એર ઈન્ડિયાની સંપત્તિના વેચાણ કે લીઝ પર આપવાથી રૂપિયા 1000 કરોડનું અતિરિક્ત ભંડોળ પ્રાપ્ત કરી શકાશે. જ્યારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એર ઈન્ડિયાને રૂપિયા 500 કરોડની રાહત પૂરી પાડશે.
એરલાઈન સ્ટાફ પાછળના ખર્ચમાં કાપ મૂકીને, લોન પરના વ્યાજમાંથી બચત કરીને તથા અન્ય પગલાં વડે રૂપિયા 500 કરોડની વધારાની આવક મેળવવામાં આવશે. એરલાઈન ડ્રીમલાઈનર વિમાનની તેની પહેલી કમર્શિયલ ફ્લાઈટ બુધવારથી દિલ્હી-કોલકાતા માટેની શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે ડ્રીમલાઇનર તરીકે ઓળખાતા બોઈંગ 787ના કુલ 6 વિમાન એરઇન્ડિયા પાસે છે. આ વિમાનોમાંથી બેને મોડીફાય કરવામાં આવ્યા છે. ડ્રીમલાઇનર વિમાનોમાં બેટરીને લીધે આગના અકસ્માતો થતા હતા એવી ફરિયાદોને પગલે જાન્યુઆરી 2013થી વિશ્વભરમાં તેની ઉડનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા અમેરિકાએ તેની ઉડાન પરથી પ્રતિબંધ હટાવી લીધો હતો. કંપનીએ આ વિમાનોની બેટરીમાં સુધારો કર્યો છે.