રાજસ્થાન કોંગ્રેસમાં ધમાસાણ, હવે અજય માકન પર ગેહલોત વિરૂદ્ધ છડયંત્રના આરોપ લાગ્યા!
રાજસ્થાન કોંગ્રેસમાં હંગામો હવે દિલ્હીમાં હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. આ વિવાદમાં હવે સોનિયા ગાંધીએ પણ હસ્તક્ષેપ કર્યો છે.
જયપુર, 26 સપ્ટેમ્બર ; રાજસ્થાન કોંગ્રેસમાં હંગામો હવે દિલ્હીમાં હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. આ વિવાદમાં હવે સોનિયા ગાંધીએ પણ હસ્તક્ષેપ કર્યો છે. અજય માકને સોનિયા ગાંધીને મળીને સમગ્ર મામલાની જાણકારી આપી છે અને સોનિયા ગાંધીએ અજય માકન પાસે સમગ્ર ઘટના અંગે લેખિત રિપોર્ટ માંગ્યો છે. આ બધાની વચ્ચે ગેહલોતના સમર્થકો અને પાયલોટના સમર્થકો સતત એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. અશોક ગેહલોતના ખૂબ જ નજીકના કહેવાતા મંત્રી શાંતિ ધારીવાલે રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકન પર જોરદાર પ્રહારો કર્યા છે.
શાંતિ ધારીવાલે આરોપ લગાવ્યો છે કે, આ સમગ્ર ઘટના અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું 100% કાવતરું છે અને આ ષડયંત્રમાં પ્રભારી અને મહાસચિવ પણ સામેલ છે. ધારીવાલે અજય માકન પર ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અજય માકન એક ષડયંત્ર હેઠળ અશોક ગેહલોતને સીએમ પદ પરથી હટાવીને સચિન પાયલટને સીએમ બનાવવા માંગે છે.
શાંતિ ધારીવાલે વધુમાં કહ્યું છે કે, સીએમ ગેહલોતે હંમેશા હાઈકમાન્ડની સૂચનાઓનું પાલન કર્યું છે, 2020માં જ્યારે સચિન પાયલટે બળવો કર્યો હતો ત્યારે તે સમયે પણ ગેહલોત વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. શાંતિ ધારીવાલે કહ્યું કે 2020માં જ્યારે પ્રદેશ કોંગ્રેસ મુશ્કેલીમાં હતી ત્યારે અમારા અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે સરકારને કોઈપણ ભોગે બચાવવી જોઈએ, તે સમયે રાજસ્થાનમાં સીએમ હોવા છતાં બળવાખોરોએ દાવો કર્યો હતો કે સરકાર પડી ગઈ છે.
શાંતિ ધારીવાલે વધુમાં કહ્યું કે, અમે સોનિયા ગાંધીના સૈનિક છીએ. છેલ્લા 50 વર્ષમાં મારા પર એક વખત પણ અનુશાસનહીનતાનો આરોપ નથી લાગ્યો. જો પાર્ટીના મહાસચિવ અને પ્રભારી આવા લોકોનેને મુખ્યમંત્રી બનાવવાનું મિશન લઈને આવ્યા હોય, તો ધારાસભ્યો નારાજ થવાના હતા.