માની ગયા બિન્ની, પણ કેજરીવાલના શપથગ્રહણ પર સસ્પેન્સ
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: દિલ્હી હજી કેટલી દૂર છે? એવા પ્રશ્નો હાલમાં દિલ્હીની જનતાને સતાવી રહ્યા હશે. કારણ કે વિધાનસભાના પરિણામ આવ્યાને આજે 18 દિવસ થઇ ગયા છે. છતાં દિલ્હીમાં કોની સરકાર બનશે એની મથામણ હજી પણ ચાલી રહી છે. ક્યારેક કોંગ્રેસ દ્વારા 'આપ' સમર્થન આપવાનું કહેવામાં આવે છે જ્યારે બીજી તરફ કોંગી કાર્યકર્તાઓ આપને સમર્થનનો વિરોધ કરી રહ્યા છે. ગઇકાલે સૂત્રોના હવાલાથી એવા સમાચાર પણ આવી રહ્યા હતા કે કોંગ્રેસ આંતરિક વિરોધના પગલે આપને આપેલું સમર્થન પાછું લેશે.
બીજી બાજું ગઇકાલે આમ આદમી પાર્ટીના વિધાયક વિનોદકુમાર બિન્ની મંત્રીમંડળમાં સામેલ નહીં કરાતા નારાજ થઇ ગયા. સૂત્રો અનુસાર કહેવાઇ રહ્યું હતું કે બિન્ની પાર્ટીની બેઠકમાંથી નારાજ થઇને ચાલ્યા ગયા હતા અને મીડિયાને જણાવ્યું હતું કે તેઓ આવતીકાલે એટલે કે બુધવારે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને મહત્વના ખુલાસા કરશે.
જોકે આજે મીડિયાની સામે આવેલા વિનોદકુમાર બિન્નીએ જણાવ્યું હતું કે તેઓ પાર્ટીથી કોઇ નારાજ નથી. અને આ તમામ અફવા મીડિયા દ્વારા ફેલાવવામાં આવેલી છે. જોકે આ પહેલા અરવિંદ કેજરીવાલ અને સાથી નેતાઓ બિન્નીના ઘરે ગયા હતા. તેમને એવું પૂછવામાં આવતા કે શું તેઓ બિન્નીને મનાવવા માટે ગયા હતા તો તેમણે જણાવ્યું કે ના તેઓ માત્ર ઔપચારિક રીતે મારા ઘરે ખીર ખાવા માટે આવ્યા હતા.
આજે અરવિંદ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે આવતીકાલે શપથવિધિની પ્રક્રિયા પર સસ્પેન્સ તોળાઇ રહ્યું છે, કારણ કે અમે અમારા મંત્રીમંડળની રચના કરી દીધી છે પરંતુ અમે હજી ઉપરાજ્યપાલ તરફથી શપથગ્રહણની વિધિ માટે કોઇ તારીખ આપવામાં આવી નથી અને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી.
કોંગ્રેસના સમર્થન પરત લેવાના મુદ્દે પૂછાતા કેજરીવાલે જણાવ્યું કે 'કોંગ્રેસ પાસેથી અમે સમર્થન માગ્યુ નથી તેમણે સમર્થનનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમે તેમનું સમર્થન મુદ્દાઓના આધારે લઇ રહ્યા છીએ. સમર્થન આપવું ના આપવું એ કોંગ્રેસનો પ્રશ્ન છે. જે વિધાયક દિલ્હીની જનતા માટે અમારા મુદ્દાઓ પર અમને સમર્થન આપવા માગતો હોય તેનું સમર્થન સ્વીકાર્ય છે.'
જ્યારે કેજરીવાલે વિધાયક વિનોદકુમાર બિન્નીના નારાજ થવાની વાતને નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે આ તમામ વાતો અફવા છે.