નીતિશ કુમારે જેડીયુ અધ્યક્ષ બનતા જ રામ મંદિરને લઈને સ્ટેન્ડ સાફ કર્યુ, જાણો ઉદ્ધાટનમાં હાજરી આપશે કે નહીં?
રામ મંદિરને લઈને રાજનીતિ તેજ થઈ રહી છે ત્યારે હવે જેડીયુ તરફથી નિવેદન સામે આવ્યુ છે. નીતિશ કુમારે પાર્ટીની કમાન સંભાળતા જ મંદિર ઉદ્ધાટનમાં હાજરીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.
જેડીયુ નેતા કેસી ત્યાગીએ કહ્યું કે, જો આમંત્રણ આવશે તો અમારી પાર્ટી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા રામ મંદિરમાં આયોજિત સમારોહમાં કોઈપણ સંકોચ વિના હાજરી આપશે.

જેડીયુના નેતા કેસી ત્યાગીએ કહ્યું છે કે, અમને હજુ સુધી આમંત્રણ આપવામાં આવ્યું નથી, પરંતુ જો આમંત્રણ મળશે તો અમારી પાર્ટી કોઈપણ સંકોચ વિના તેમાં ભાગ લેશે.
જણાવી દઈએ કે શરૂઆતના તબક્કામાં નીતીશ કુમાર અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળના NDAનો હિસ્સો બન્યા ત્યારે તેમના જેવા સહયોગીઓની માંગ પર બીજેપીના ત્રણ મુખ્ય મુદ્દા- રામ મંદિર, કલમ 370 અને યુનિફોર્મ સિવિલ કોડને એજન્ડામાંથી બહાર રાખવા પડ્યા હતા.
કેસી ત્યાગીને રામ મંદિર પર નીતિશની પાર્ટીના બદલાયેલા સ્ટેન્ડ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે સમયે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો. પરંતુ, જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી નિર્ણય આવી ગયો છે ત્યારે રામ મંદિર પર સવાલ ઉઠાવવાનો સવાલ જ નથી.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, જેડીયુનો એક હિસ્સો એવા ઈન્ડિયા બ્લોકની રચના નીતીશની પહેલ પર કરવામાં આવી હતી. જેમાં સીપીએમ જેવી પાર્ટીઓએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં જવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. અન્ય કેટલાક સાથીઓએ પણ આ અંગે નકારાત્મક વલણ અપનાવ્યું છે.
કોંગ્રેસ હજુ સુધી પોતાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી શકી નથી. આ સ્થિતિમાં, તે કાર્યક્રમમાં ભાગ લેવા અંગે જેડીયુનું સકારાત્મક નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
