ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલાયા, હવે આ નામે ઓળખાશે
શુક્રવારે કેન્દ્ર સરકારે બંને શહેરોના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ શહેરોના નામ બદલવાનો મામલો રાજ્યના રાજકારણમાં મોટો મુદ્દો બન્યો છે.
નવી દિલ્હી : ઉત્તરપ્રદેશ બાદ હવે મહારાષ્ટ્રમાં પણ શહેરોના નામ બદલાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની બગાવતી શિંદે સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરોના નામ બદલ્યા છે. આ બે શહેરો હવે અનુક્રમે છત્રપતિ સંભાજી નગર અને ધારાશિવ તરીકે ઓળખાશે.

શુક્રવારે કેન્દ્ર સરકારે બંને શહેરોના નામ બદલવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ શહેરોના નામ બદલવાનો મામલો રાજ્યના રાજકારણમાં મોટો મુદ્દો બન્યો છે. હવે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારની દરખાસ્તોને લીલી ઝંડી આપતાં બંને ઐતિહાસિક શહેરોની ઓળખ બદલાઈ ગઈ છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદને હવે છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદને ધારાશિવ નામ આપવા માટેની દરખાસ્ત ગયા વર્ષે 29 જૂન 2022ના રોજ ઉદ્ધવ ઠાકરે સરકારે કરી હતી. તે સમયે શિવસેનાના વિધાનસભ્યોના બળવાને કારણે મહા વિકાસ આઘાડીની સરકાર લઘુમતીમાં આવી ગઈ પરંતુ કેબિનેટની બેઠકમાં તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખુરશી છોડતા પહેલા જ આ નિર્ણય લઈને રાજકીય માઈલેજ લેવાનો પ્રયાસ કર્યો હતો.
આ નિર્ણય ઠાકરે સરકાર દ્વારા લેવામાં આવેલા છેલ્લા અને ઉતાવળા નિર્ણયોમાંનો એક હતો. બીજા જ દિવસે શિવસેનાના એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપના સમર્થનથી સરકાર રચાઈ.
સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે અગાઉની ઉદ્ધવ સરકારનો નિર્ણય ગેરકાયદેસર હતો. આ માટે તેને ફગાવી દેવાયો. ત્યારબાદ જુલાઈ, 2022 ના રોજ ભાજપ સમર્થિત શિંદે સરકારે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ ધારાશિવ રાખવાની દરખાસ્ત ફરીથી કરી. હવે કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર રાખવાની માંગ એટલે કરાઈ રહી હતી કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના પુત્ર સંભાજીની મુગલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા હત્યા કરવામાં આવી હતી.
માર્ચ 2020 માં ઔરંગાબાદ એરપોર્ટનું નામ બદલીને છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. ઓસ્માનાબાદનું નામ હૈદરાબાદના છેલ્લા નિઝામ મીર ઉસ્માન અલી ખાનના નામ પરથી રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે તે ધારાશિવ તરીકે ઓળખાશે.












Click it and Unblock the Notifications
