દેશને જગાવી કાયમ માટે સુઇ ગઇ ભારતની બહાદૂર દિકરી
દિલ્હીમાં ચાલતી બસમાં સામુહિક બળાત્કારનો ભોગ બનેલી મેડિકલની 23 વર્ષીય વિદ્યાર્થિનીનું શુક્રવાર-શનિવારે 2.15 વાગ્યે નિધન થયું. આજે ભારતની એ બહાદૂર દિકરી સદા માટે આ ફાની દૂનિયા છોડીને કાયમ માટે ચીરનિંદ્રામા પોઢી ગઇ, પરંતુ દેશમાં એક એક ચિંગારી ભડકાવતી ગઇ અને દેશને સમાજમાંથી આવી બદીઓને દૂર કરવા માટે પ્રોત્સાહિત કરતી ગઇ, દેશની બીજી કોઇ દિકરી સાથે આવું અધર્મી કૃત્ય ના થાય એ માટે જાગૃત કરતી ગઇ, દેશને એકજૂટ થઇ ન્યાય માટે લડવાની શક્તિ આપી ગઇ છે. આજે તેના દુઃખદ નિધનના સમાચાર બાદ દેશના દેરક ખુણેથી તેની આત્માને શાંતિ અર્પવા પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ કરવામાં આવી રહી છે. સરકાર આરોપીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવશે તેવું આશ્વાસન આપી રહી છે તો દિલ્હી પોલીસે કહ્યું છે કે તેઓ આરોપીઓને ફાંસી આપવામાં આવે તેવી પ્રબળ માંગ કરશે.
અન્ય કોઇની સાથે આવી ઘટનાના ઘટે તે માટે જાગી ગયું હિન્દુસ્તાન
બળાત્કારની ઘટનાના સમાચાર મળતાની સાથે જ દિલ્હી સહિતના દેશના દરેક ખુણે આ ઘટનાની નિંદા કરવામાં આવી. પોતાની જ ઘરની કોઇ દિકરી સાથે આ ઘટના ઘટી હોય તેમ લોકો રોડ પર ઉતરી આવ્યા, જાણે કે દેશમાં એક ક્રાન્તિ આવી ગઇ હોય તેમ યુવાનો ન્યાય માટે એકઠાં થયાં અને જોરદાર પ્રદર્શન કર્યું. 16 ડિસમ્બરથી 29 ડિસેમ્બર સુધી દેશમાં એક આંધી ફુંકાઇ, સુરક્ષાની આંધી, ન્યાયની આંધી. આઝાદી માટે જાગેલા દેશને તો બધાને જોયો હતો પરંતુ મહિલાઓની સુરક્ષા કાજે જાગેલા હિન્દુસ્તાનનો ચહેરો જોવા મળ્યો હતો.
બળાત્કારની ઘટના બાદ દેશમાં ભભૂકી ઉઠ્યો રોષ
હવસખોરો દ્વારા મેડિકલની વિદ્યાર્થિની સાથે બર્બરતાપૂર્વક ગુજારેલા સામુહિક બળાત્કાર બાદ દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્કૂલ-કોલેજમાં ભણતા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ, બોલિવુડ સેલિબ્રિટી, સ્પોર્ટ્સ પર્સનાલિટી, રાજકારણી કે ઉદ્યોગપતિઓ હોય, ઘરની ગૃહિણી હોય કે પછી ઓફિસ વર્ક કરતી મહિલાઓ હોય, તમામમાં એક રોષ અને ગુસ્સાની લાગણી જોવા મળી હતી. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન હોય, ઇન્ડિયા ગેટ હોય કે જંતર-મંતર તમામ સ્થળે પ્રદર્શનકારીઓ વિરોધ કરતા જોવા મળ્યા. સરકારે વિરોધને ડામવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને દિલ્હીમાં ઉઠેલી ક્રાન્તિને રોકવા માટે અથાગ પ્રયત્નો કર્યા પરંતુ રોષ સમ્યો નહીં. લોકો રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસવા માટે પ્રયત્નો કરવા લાગ્યા પોલીસે લાઠીચાર્જ કર્યા, પાણીના ફુવારા છોડ્યા હતા.
મહિલાઓને સુરક્ષા પૂરી પાડવા એકજૂટ થયો દેશ
મેડિકલની છાત્રા પરના બળાત્કારની ઘટના બાદ આવી ઘટના અન્ય કોઇ મહિલા સાથે ના થાય તે માટે દેશ એકજૂટ થયો અને સરકાર સમક્ષ કડક રજૂઆત કરવા લાગ્યા કે એક એવો કાયદો બનાવવામાં આવે કે જેનાથી હિન્દુસ્તાનમાં મહિલાઓ ખૌફ અને દહેશતથી નહીં પણ આઝાદીની શ્વાસ લઇને બેખૌફ હરી-ફરી શકે. આ પહેલીવાર બન્યું છે કે દેશમાં મહિલાઓની સુરક્ષાની માંગણી સાથે દરેક ખુણે વિરોધ કરવામાં આવ્યો હોય, દરેક નાગરીકના મુખે એક જ વાત હતી કે એક એવો કાયદો બનાવવામાં આવે કે જેથી મહિલાઓ સુરક્ષાની લાગણીનો અનુભવ કરી શકે.
દોષીઓને આકરામાં આકરી સજા ફટકારવા કરવામાં આવી માંગ
હવે પછી ક્યારેય પણ કોઇ આવું દુષ્કર્મ આચરવાની હિંમત તો ઠીક વિચાર શુદ્ધા ના કરે તે માટે દિલ્હી સામુહિક બળાત્કારીઓને આકરામાં આકરી સજા ફટકારવામાં આવે તેવી માંગણીઓ દેશમાં ઉઠવા લાગી છે. સંસદભવનમાં બિરાજેલા આપણા નેતાઓ હોય કે પછી વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓ હોય તમામ એક માંગ કરવા લાગ્યા કે આરોપીઓને ફાંસીની સજા ફટકારવામા આવે.
આજે એ બહાદૂર દિકરી આપણી વચ્ચે નથી. સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા. આખો દેશ શોકગ્રસ્ત છે, આપણા વડાપ્રધાન ડો. મનમોહન સિંહે કહ્યું છે કે, વિદ્યાર્થિનીની શહાદતને એળે નહીં જવા દેવામાં આવે. આરોપીને આકરામાં આકરી સજા ફટકારાશે, જેથી દેશમાં આવું કોઇ તૂચ્છ કૃત્ય ના થાય. આશા રાખીએ કે એ બહાદૂર દિકરીની શહાદત ખરેખર એળે ના જાય અને દેશમાં એક એવો કાયદો લાવવામાં આવે કે દેશની તમામ દિકરી ખૌફથી નહીં પણ સુરક્ષાની લાગણી સાથે હરી-ફરી શકે. એ જ ખરા અર્થમાં દેશની બહાદૂર દિકરીને શ્રદ્ધાંજલિ હશે.