રામ મંદિર નહીં હોય બીજેપીનો ચૂંટણી એજન્ડા: નકવી
નવી દિલ્હી, 7 જૂન: હિન્દુત્વને પોતાનો ચૂંટણી એડન્ડા બનાવનાર ભારતીય જનતા પાર્ટીએ હવે અયોધ્યા રામ મંદિરથી પોતાનો મોહ દૂર કરી લીધો છે. અયોધ્યા હવે ભાજપની પ્રાથમિકતા રહી નથી. બીજેપીએ સ્પષ્ટતા કરી દીધી છે કે અયોધ્યાનો મુદ્દો પાર્ટીના એજેન્ડામાં તો છે પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં તેને પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.
ગોવામાં શરૂ થઇ રહેલી ભાજપની રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠક પહેલા પાર્ટી ઉપાધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ પોતાનું આ નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. નકવીએ કહ્યું કે અમે એવું ક્યારેય નથી કહ્યું કે અયોધ્યા અમારા એજન્ડામાં નથી. જોકે જ્યાં સુધી પ્રાથમિકતાનો સવાલ છે, તો મોંઘવારી, ભ્રષ્ટાચાર, કુશાસન જેવા મુદ્દા પાર્ટી માટે પહેલા છે.
નકવીએ કહ્યું કે અમે અમારી વૈચારિક પ્રતિબદ્ધતાને લઇને સંપૂર્ણરીતે ઇમાનદાર છીએ. તેમણે કહ્યું કે બીજેપી માટે રામ મંદિરનું નિર્માણ હંમેશાથી મહત્વનું રહ્યું છે પરંતુ લોકસભા ચૂંટણીમાં પાર્ટી આને ચૂંટણી એજન્ડા નહી બનાવે.
ગોવામાં 3 દિવસ સુધી ચાલનાર રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીને લઇને યોજના પર નિર્ણય લેવામાં આવશે. નકવીએ કહ્યું કે હાલની પરિસ્થિતિને જોતા આ વર્ષે જ લોકસભા ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. આ બેઠકમાં રાજનૈતિક અને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલ પર ફિડબેક લેવામાં આવશે.