બાબા રામદેવનું નિવેદન ફરીથી વાયરલ, ‘નોટબંધીમાં થયો 3-5 લાખ કરોડનો ગોટાળો'
નોટબંધી વિશે યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો એક વાર ફરીથી વાયરલ થઈ રહ્યો છે.
નોટબંધી વિશે યોગ ગુરુ બાબા રામદેવનો એક વીડિયો એક વાર ફરીથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાબા રામદેવ એ કહેતા જોવા મળી રહ્યા છે કે નોટબંધીમાં ત્રણથી પાંચ લાખ કરોડનો ગોટાળો થયો છે. વાસ્તવમાં આ વીડિયો એ સમયનો છે જ્યારે બાબા રામદેવે 'ધ ક્વિવંટ' ને ઈન્ટરવ્યુ આપ્યો હતો. આ ઈન્ટરવ્યુમાં રામદેવે કહ્યુ હતુ કે મોદીજીએ પણ નહિ વિચાર્યુ હોય કે બેંકવાળા આટલા બેઈમાન નીકળશે. તેમણે કહ્યુ કે મને એવુ લાગે છે કે નોટબંધીના કારણે બેંકવાળાએ લાખો નહિ કદાચ લાખો કરોડો રૂપિયા બનાવી લીધા છે.
રામદેવે કહ્યુ કે આમાં ત્રણથી પાંચ લાખ કરોડ રૂપિયાનો ગોટાળો નીકળશે. આ વીડિયોમાં બાબા રામદેવે કહ્યુ કે આ મામલે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના લોકો પર પણ શંકા થઈ રહી છે. કારણકે એક સીરિઝની બે નોટ છપાયેલી હતી. આવુ થવુ દેશની અર્થવ્યવસ્થા પર બહુ મોટો કલંક છે. બાબા રામદેવે કહ્યુ કે નોટબંધી સમયે દેશમાં કેશની કમી નહોતી પરંતુ બધી કેશ બેઈમાનોને આપી દેવામાં આવી. રામદેવે કહ્યુ હતુ કે એ સમયે કેશના સર્ક્યુલેશનમાં સુધારો કરવાની જરૂર હતી.
તમને જણાવી દઈએ કે 2014ની લોકસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા બાદ સત્તા પર બેઠેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ની રાતે 8 વાગે દેશને સંબોધિત કરીને નોટબંધીનું એલાન કર્યુ. જેમાં 500 અને 1000 રૂપિયાની મોટી કરન્સી નોટોને તાત્કાલિક અસરથી બંધ કરી દીધી હતી. નોટબંધીના એલાન બાદ ઘણી જગ્યાઓએ નદી, નાળામાં જૂની નોટો પડી હતી. બીજી તરફ બેંકના એટીએમમાં કેશ કાઢવા માટે લાંબી લાઈનો લાગેલી હતી. તમને જણાવી દઈએ કે વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓએ સત્તાધારી પાર્ટી પર આરોપ લગાવ્યા કે તેણે પોતાના નેતાઓની કાળી કમાણીને સફેદ કરવા માટે નોટબંધી કરી છે.
આ પણ વાંચોઃ #MeToo: એમ જે અકબરે કોર્ટમાં રમાનીના વકીલના સવાલો પર કહ્યુ, મને યાદ નથી