ઢાકા કાફેમાં ખૂની ખેલ રમનાર આતંકીની પોલીસ અથડામણમાં મોત
પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, ઢાકાને રેર બજારમાં છાપો મારવા ગયેલી પોલીસની આ આતંકવાદીઓ સાથે અથડામણ થતાં, 2 આતંકવાદીઓ માર્યા ગયા.
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના એક કાફેમાં ગયા વર્ષે થયેલા મોટા આંતકવાદી હુમલા પાછળનો માસ્ટરમાઇન્ડનું મૃત્યુ થયું છે. ઢાકા પોલીસે જણાવ્યું હતું કે, છાપો મારતી વખતે થયેલી અથડામણમાં માસ્ટરમાઇન્ડ આતંકવાદી ઇસ્લામ મરજાનનું મૃત્યુ થયું છે. આ અથડામણમાં અન્ય એક આંતકવાદીનું પણ મૃત્યુ થયું છે. પોલીસે આપેલી જાણકારી અનુસાર, નુરુલ ઇસ્લામ મરજાન અને તેના અન્ય એક સાથી આતંકવાદીનું મૃત્યુ થયું છે. આ અથડામણ બાદ કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં નુરુલ ઇસ્લામ મરજાન અને અન્ય એક આતંકવાદીનું શબ મળી આવ્યું છે.
ઢાકા કાફે હુમલાનો માસ્ટરમાઇન્ડ નુરુલ ઇસ્લામ મરજાન
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, રેયર બજારમાં છાપો મારવા ગયેલી પોલીસની આ આતંકવાદીઓ સાથે અથડામણ થઇ હતી, જેમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. આ આતંકવાદીઓમાં ઢાકા કાફે હુમલાના માસ્ટરમાઇન્ડ નુરુલ ઇસ્લામ મરજાનનો પણ સમાવેશ થાય છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે નુરુલ ઇસ્લામ મરજાનનું મૃત્યુ પોલીસની ગોળી વાગવાથી થયું છે કે તેણે જાતે જ આત્મહત્યા કરી હતી.
અહીં વાંચો - જમ્મુ-કાશ્મીરમાં ફરી થઇ હિંસક અથડામણ, એકની મોત
ઢાકા પેલીસે જાણકારી આપી છે કે, નુરુલ ઇસ્લામની ઉંમર 30 વર્ષની આસપાસ હતી. તે ગયા વર્ષે 1લી જૂનના રોજ ઢાકાની હોલી આર્ટિસન બેકરીમાં થયેલા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. કાફેમાં થયેલા આ આતંકવાદી હુમલામાં 18 વિદેશી નાગરિક સહિત લગભગ 20 લોકો માર્યા ગયા હતા, જેમાં એક ભારતીય છોકરી તારિષી જૈનનો પણ સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી આઇએસઆઇએસ એ સ્વીકારી હતી, પરંતુ બાંગ્લાદેશ પોલીસે આ હમલા પાછળ જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લાદેશ(જેએમબી)નો હાથ હોવાનું જણાવ્યું હતું.