કોરોના અંગે બંગાળ સરકાર એલર્ટ, 7 દેશોમાંથી આવતા મુસાફરો માટે RTPCR ટેસ્ટ ફરજિયાત
કોરોના વાયરસની ત્રીજી લહેરના સંકટ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોરોનાથી પ્રભાવિત 7 દેશોમાંથી આવતા લોકો માટે રાજ્યમાં પ્રવેશ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.
કોલકાતા : કોરોના વાયરસની ત્રીજી લહેરના સંકટ વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કોરોનાથી પ્રભાવિત 7 દેશોમાંથી આવતા લોકો માટે રાજ્યમાં પ્રવેશ માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે.
એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય છે, ત્યારે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો સમય નજીક આવી રહ્યો છે. મંગળવારના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દુર્ગા પૂજા સમિતિઓ અને ક્લબ્સને મળ્યા હતા અને તેમના માટે 50,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીએ લોકોને દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી હતી.
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાત્રી દરમિયાન દુર્ગા પૂજા પંડાલમાં લોકોના આગમન સંબંધિત નિર્ણય મુલતવી રાખ્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંદર્ભે નિર્ણય તે જ સમયે લેવામાં આવશે.
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ત્રણ બેઠકો પર ચૂંટણી
પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા અને દશેરાની ઉજવણી આવી રહી છે, ત્યારે ચૂંટણી પંચે ત્રણ વિધાનસભા બેઠકોની ચૂંટણીની પણ જાહેરાત કરી છે. ત્રણેય બેઠકો પર 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. તેમાં કોલકાતાની ભવાનીપુર બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યાંથી મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે ચૂંટણી લડશે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મમતા બેનર્જી ભાજપના નેતા સુવેન્દુ અધિકારી સામે નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હતા. મુખ્યમંત્રી બનવા માટે મમતા બેનર્જીને 6 મહિનાની અંદર ચૂંટણી જીતવી ફરજિયાત છે.