Bharat Bandh 2022: 28 અને 29 માર્ચે રહેશે ભારત બંધ, બેંકોમાં પણ નહિ થાય કામકાજ
કેન્દ્રીય ટ્રેડ સંઘોના એક સંયુક્ત ફોરમે આગામી 28 અને 29 માર્ચે રાષ્ટ્રવ્યાપી બંધનુ આહ્વાન કર્યુ છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય ટ્રેડ સંઘોના એક સંયુક્ત ફોરમે આગામી 28 અને 29 માર્ચે રાષ્ટ્રવ્યાપી બંધનુ આહ્વાન કર્યુ છે. આ ભારત બંધ કર્મચારીઓ, ખેડૂતો તેમજ સામાન્ય લોકોને પ્રભાવિત કરતી સરકારની નીતિઓ વિરુદ્ધ બોલાવવામાં આવ્યુ છે. ભારત બંધની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ટ્રેડ સંભોના સંયુક્ત ફોરમની એક બેઠક મંગળવારે થઈ હતી. આ બેઠકમાં રાજ્યો તેમજ અલગ-અલગ ક્ષેત્રોમાં બે દિવસ સુધી ચાલનારા વિરોધ-પ્રદર્શનનુ સમીક્ષા કરવામાં આવી હતી.
ટ્રેડ સંઘોના ભારત બંધને નિષ્ફળ બનાવવા માટે રાજ્ય સરકારો એસ્મા લગાવી શકે છે. આ જોખમ છતાં રોડવેઝ, ટ્રાન્સપોર્ટ તેમજ વિજળી વિભાગના કર્મચારીઓએ ભારત બંધને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. એક નિવેદન મુજબ બેંકિંગ, વીમા તેમજ નાણાકીય ક્ષેત્ર પણ આ હડતાળનો હિસ્સો બનશે.
ટ્રેડ સંઘોએ આ પ્રસ્તાવિત હડતાળની નોટિસ કોલસા, સ્ટીલ, ઓઈલ, દૂરસંચાર, પોસ્ટલ, આવકવેરા, કૉપર, બેંક અને વીમા ક્ષેત્રને મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે રેલવે તેમજ રક્ષા ક્ષેત્રના સેક્ટર્સ પણ બે દિવસ માટે ભારત બંધમાં શામેલ થવાનુ વિચારી રહ્યા છે. ટ્રેડ સંગઠનોની બેઠકમાં ચર્ચા થઈ કે હાલમાં રાજ્યોમાં ચૂંટણી જીતવાથી ઉત્સાહિત કેન્દ્રની બાજપ સરકાર પોતાની નીતિઓથી કામદાર વર્ગને હેરાન કરી રહી છે.
બેઠકમાં ઈપીએફ પર મળતા વ્યાજમાં ઘટાડો, પેટ્રોલ, એલપીજી, કેરોસિન, સીએનજીના ભાવમાં વધારા પર ચર્ચા થઈ. ટ્રેડ સંઘોના નેતાઓએ કહ્યુ કે સરકારની નીતિઓના કારણે મોંઘવારી સતત વધી રહી છે અને શેર બજાર ગગડી રહ્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે સંયુક્ત કિસાન મોરચો 28 અને 29 માર્ચે ગ્રામીણ બંધને પોતાનુ સમર્થન આપશે.
આ સંયુક્ત ફોરમમાં હિંદ મજૂર સભા, સેન્ટર ઑફ ઈન્ડિયન ટ્રેડ યુનિયન, ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ, ઑલ ઈન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસ, સેલ્ફ એમ્પ્લોઈડ વુમન એસોસિએશન, ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ટ્રેડ યુનિયન સેન્ટર, ટ્રેડ યુનિયન કો-ઑર્ડિનેશન સેન્ટર, ઑલ ઈન્ડિયા સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ટ્રેડ યુનિયન્સ, લેબર પ્રોગ્રેસિવ ફેડરેશન અને યુનાઈટેડ ટ્રેડ યુનિયન કોંગ્રેસ શામેલ છે.