Bihar election 2025 : 3.66 લાખ મતદારો ક્યાં ગયા? EC ને તાત્કાલિક જવાબ આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Bihar election 2025 : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025 ની જાહેરાત સાથે જ રાજ્યની મતદાર યાદી (Voter List) ને લઈને મોટો હોબાળો મચી ગયો છે.
મામલો સુપ્રીમ કોર્ટ (Supreme Court) સુધી પહોંચ્યો છે, જ્યાં સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચ (Election Commission of India - ECI) ને સણસણતો સવાલ કર્યો છે કે, આખરે અંતિમ મતદાર સૂચિમાંથી 3.66 લાખ મતદારોના નામ કેવી રીતે ગાયબ થયા?

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જૉયમલ્ય બાગચીની બેન્ચે ECI ને સ્પષ્ટપણે કહ્યું છે કે, તેને 9 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવો પડશે. કોર્ટે પૂછ્યું છે કે જેમના નામ હટાવવામાં આવ્યા છે તે મતદારો કોણ છે અને કયા આધાર પર આ કાર્યવાહી કરવામાં આવી છે?
આ સાથે 21 લાખ નવા મતદારો ઉમેરાયા છે તે ખરેખર નવા જ છે કે પછી અગાઉ દૂર કરાયેલા નામોને ફરીથી શામેલ કરવામાં આવ્યા છે તેની પણ સ્પષ્ટતા કરવા જણાવાયું છે.
ચૂંટણી પંચ દ્વારા 30 સપ્ટેમ્બરે બહાર પાડવામાં આવેલી અંતિમ મતદાર યાદી મુજબ, બિહારમાં કુલ મતદારોની સંખ્યા ઘટીને 7.42 કરોડ થઈ ગઈ છે, જે પહેલા 7.89 કરોડ હતી. એટલે કે, કુલ 47 લાખ જેટલા મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.
જો કે, ચૂંટણી પંચે દાવો કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મૃત્યુ પામેલા સ્થળાંતર કરનારા અને ડુપ્લિકેટ મતદારોના નામો દૂર કરવાને કારણે આ ઘટાડો થયો છે. ECI તરફથી વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીએ કોર્ટમાં રજૂઆત કરી કે ઉમેરાયેલા મોટાભાગના નામો નવા મતદારોના છે અને નામ હટાવવા બાબતે અત્યાર સુધી કોઈ ફરિયાદ કે અપીલ દાખલ થઈ નથી.
આ આંકડાઓના કારણે બિહારમાં રાજકીય ગરમાવો વધ્યો છે. માહિતી મુજબ, મગધમાં સૌથી વધુ નવા મતદારો ઉમેરાયા છે, જ્યારે સીમાંચલ ક્ષેત્રમાં મુસ્લિમ વસ્તી વધારે છે ત્યાં સૌથી વધુ નામો દૂર કરવામાં આવ્યા છે. આને કારણે ચૂંટણી પહેલાં જ જાતીય અને ધાર્મિક સંતુલનને લઈને નવી રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કોંગ્રેસે આ આંકડાઓ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં 7.72 કરોડ મતદારો હતા, જે હવે ઘટીને 7.42 કરોડ થઈ ગયા છે. પાર્ટીએ પૂછ્યું છે કે આ 30 લાખ મતદારો કોણ છે જે હવે યાદીમાં નથી?
આ ઉપરાંત ECIએ 21.53 લાખ નવા મતદારો ઉમેર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ ફોર્મ-6ના આધારે માત્ર 16.93 લાખ અરજીઓ જ ઉપલબ્ધ હોવાનો કોંગ્રેસનો આરોપ છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે લોકશાહીમાં મતદાર યાદીની પારદર્શિતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે અને જો કોઈ પણ પ્રકારની અસ્પષ્ટતા હશે, તો તે લોકતંત્ર માટે ખતરો બની શકે છે. હવે સૌની નજર 9 ઓક્ટોબર પર છે, જ્યારે ECI કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે.












Click it and Unblock the Notifications
