નરેન્દ્ર મોદીની ભૂમિકા અંગે રાજનાથ સિંહ નિર્ણય કરશે: ઉમા ભારતી
મંગળવારે પત્રકાર પરિષદમાં ઉમા ભારતીએ કહ્યું હતું કે ભાજપમાં એક જ એવા નેતા છે જે હાલમાં વડાપ્રધાન પદના દાવેદાર છે પરંતુ વિવાદ નથી. ભાજપમાં બધા નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવે છે. યોગ્ય સમયે આ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પાર્ટીમાં ભૂમિકા અંગેના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આ અંગે નિર્ણય લેશે.
તેમને કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવારને લઇને કોઇ વિવાદની વાત નથી આ તો કોંગ્રેસની દેન છે. કોંગ્રેસમાં લોકતંત્ર નથી. એક પરિવારની આસપાસ રાજકારણ ફર્યા કરે છે. કોંગ્રેસમાં એક પરિવારની કૃપાથી જ પીએમ અથવા અન્ય પદ પ્રાપ્ત થાય છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસના દુષ્પ્રચારથી ભાજપના નેતાઓને બચવું જોઇએ અને વડાપ્રધાનને લઇને કોઇપણ પ્રકારના નિવેદનથી બચવું જોઇએ. કોઇપણ ચર્ચા ફક્ત પાર્ટી ફોરમ પર થવી જોઇએ.
બોલીવુડ અભિનેતા શાહરૂખખાની સુરક્ષાને લઇને સર્જાયેલા વિવાદ પર ઉમા ભારતીએ કહ્યું હતું કે પાકિસ્તાને પોતાની ચિંતા વધારે કરવી જોઇએ કારણ કે ભારતમાં મુસલમાનો જેટલા સુરક્ષિત છે એટલા આખા વિશ્વમાં ક્યાંય નથી. જ્યારે અમેરિકામાં શાહરૂખખાની તપાસ કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાની નેતાઓની બોલતી બંધ થઇ ગઇ હતી.