નવી દિલ્હી, 3 મે: લોકપાલની નિમણૂંક રોકવા માટે મનમોહન સિંહ સરકાર પર દબાણ બનાવવામાં સફળ રહેલી ભારતીય જનતા પાર્ટી હવે નવા સેનાધ્યક્ષની નિમણૂંક રોકવામાં લાગી ગઇ છે. ચૂંટણી પંચે નવી નિમણૂંક પર ચર્ચા કરી છે અને સંભવ છે કે તે સરકારને નવા સેનાધ્યક્ષની નિમણૂંકથી રોકી દે.
રક્ષા મંત્રાલયે સેનાધ્યક્ષ માટે વાઇસ ચીફ ઓફ સ્ટાફ લેફ્ટિનેન્ટ જનરલ દલબીર સિંહ સુહાગના નામની ભલામણ કરી છે. હાલના સેનાધ્યક્ષ જનરલ વિક્રમ સિંહની નિવૃત્તિ થયા બાદ સુહાગ તેમનું સ્થાન લઇ શકે છે. પરંતુ ભાજપની ટિકિટ પર ગાઝિયાબાદથી ચૂંટણી લડી રહેલા પૂર્વ સેનાધ્યક્ષ વીકે સિંહે નવા સેનાધ્યક્ષના રૂપમાં સુહાગનું નામ આગળ કરવાને લઇને યૂપીએ સરકાર પર લોકતાંત્રિક નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
જોકે સરકારે પહેલા જ સ્પષ્ટતા આપી દીધી છે કે કાયદાકીય રીતે તેની પાસે સેન્ય નિમણૂકો પર નિર્ણય લેવાનો અધિકાર છે, તેમના જણાવ્યા અનુસાર, આચાર સંહિતા રક્ષા સંબંધી મામલા પર લાગુ પડતી નથી. તેમાં સૈન્ય દળોની ભર્તી, પ્રમોશન, અથવા સેવા સંબંધી અન્ય મામલાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે પહેલા જ તેની પરવાનગી આપી દીધી હતી પરંતુ બાદમાં સેનાધ્યક્ષની નિમણૂંકને સામાન્ય પ્રક્રિયા માનવાનો ઇનકાર કરી દીધો હતો.
ભાજપ ઇચ્છે છે કે જનારી સરકારે નવા સેનાધ્યક્ષની નિમણૂંક કરવી જોઇએ નહીં. તેને આ નિર્ણય નવી સરકાર પર છોડી દેવો જોઇએ. ભાજપ નવી સરકાર આવ્યા બાદ નિમણૂંકના પક્ષમાં છે. હવે ચૂંટણી પંચ આ મુદ્દે શું વલણ અપનાવે છે તેની પર સૌની નજર છે.